
જોધપુરઃ રાજસ્થાનના ફલોદીના માટોડા ક્ષેત્રમાં આજે એક મોટો અકસ્માત સર્જાયો છે. માટોડા વિસ્તારમાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં જોધપુર પરત ફરી રહેલી એક પ્રવાસી ટેમ્પો ટ્રાવેલર પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 18 યાત્રાળુઓના મોત થયા છે. આ સાથે અનેક લોકો ઘાયલ થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને પંથકમાં ભારે શોકનો માહોલ છવાયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે શ્રદ્ધાળુઓએ ચીસો અને બૂમો પાડી હતી, જેથી સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી.
ટક્કર એટલી ગંભીર હતી કે, 18 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જોધપુરના સૂરસાગર વિસ્તારમાં શ્રદ્ધાળુઓ ભરેલી ટેમ્પો ટ્રાવેલર બીકાનેરમાં કોલાયત દર્શન માટે ગઈ હતી. આ ટેમ્પો ટ્રાવેલર જ્યારે દર્શન કરીને પરત આવી રહી હતી ત્યારે માટોડા વિસ્તારમાં રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે, તેના કારણે કુલ 18 શ્રદ્ધાળુઓ ઘટના સ્થળે જ મોતને ભેટ્યાં હતાં. બધા મૃતકો જોધપુરના સુરસાગરના રહેવાસી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : કુર્નૂલ બસ અકસ્માતનું કારણ શું હતું? આ સીસીટીવી વીડિયોએ જણાવી સાચી હકીકત
પ્રવાસી બસ ખૂબ જ ઝડપે ચાલી રહી હતીઃ સ્થાનિક
સમગ્ર મામલે માટોડા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી ઘાયલોને બહાર કાઢ્યાં હતા અને સારવાર માટે જોધપુર ખસેડવામાં આવ્યાં હતાં. એક પોલીસ અધિકારીએ આપેલી વિગતો પ્રમાણે કુલ 18 શ્રદ્ધાળુઓના અત્યારે સુધીમાં મોત થઈ ચૂક્યાં છે. આ પ્રવાસી બસ ખૂબ જ ઝડપે ચાલી રહી હતી. બસના ડ્રાઇવરે અચાનક કાબૂ ગુમાવ્યો અને બસ પાર્ક કરેલા ટ્રેલર સાથે અથડાઈ ગઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : વહેલી સવારે ડાંગના રસ્તાઓ પર લોહી રેડાયુંઃ બસ અકસ્માતમાં પાંચ પ્રવાસીના મોત



