રાજા રઘુવંશીની હત્યા કેસમાં પરિવારે કર્યાં ચોંકાવનારા ખુલાસા, બંનેએ નશામાં…

શિલોંગ: રાજા રઘુવંશી હત્યાકાંડમાં સોનમ અને કથિત આરોપી સામે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આ કેસમાં રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. રાજાના પરિવારે આરોપી સોનમ રઘુવંશી અને રાજ કુશવાહા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે, જેમાં નશાની લત અને ગુનાહિત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. પરિવારે પોલીસને આરોપીઓના નાર્કો ટેસ્ટની માગ કરી હતી, જોકે પોલીસે નક્કર પુરાવા હોવાના કારણે નાર્કો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી ન હતી.
પરિવારના આક્ષેપો
રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ મીડિયા સમક્ષ દાવો કર્યો કે, સોનમ અને રાજ બંને નશાની લતમાં હતા, જે તેમની ગુનાહિત પ્રવૃત્તિઓનું મુખ્ય કારણ હોઈ શકે. વિપિને જણાવ્યું, “રાજા સાથે વિશ્વાસઘાત થયો છે. સોનમ અને રાજ નજીકના સંબંધો ઉપરાંત બંનેને નશાની લતમાં પણ હતી” તેમણે ઉમેર્યું કે, પકડાયેલા આરોપીઓ આનંદ અને આકાશે પહેલાં નિવેદનો આપ્યા હતા, પરંતુ હવે તેઓ પોતાના નિવેદનો બદલી રહ્યા છે.
નાર્કો ટેસ્ટની માંગ
વિપિને આશંકા વ્યક્ત કરી કે, સોનમ અને રાજ પણ પોતાના નિવેદનો બદલી શકે છે, જેનાથી સત્ય દબાઈ જશે. આથી પરિવારે આરોપીઓના નાર્કો ટેસ્ટની માંગ કરી છે. તેમણે કહ્યું, “નાર્કો ટેસ્ટથી આરોપીઓ નિવેદનો બદલી શકશે નહીં, અને હત્યાની સાજિશ બહાર આવશે.” વિપિને પોલીસને સખત પૂછપરછ અને થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરી સત્ય બહાર લાવવા જણાવ્યું.
ન્યાયની લડત
પોલીસની તપાસ હાલ ચાલુ છે, અને રાજાનો પરિવાર સમગ્ર ગુનાહિત નેટવર્કને ઉજાગર કરવા ગહન અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યો છે. પરિવારે જણાવ્યું કે, જ્યાં સુધી રાજાને પૂર્ણ ન્યાય નહીં મળે, ત્યાં સુધી તેઓ શાંત બેસશે નહીં. આ કેસે ઇન્દોરમાં નશાની લત અને ગુનાખોરીના જોડાણ પર પણ સવાલો ઉભા કર્યા છે, અને પોલીસ પર ઝડપી કાર્યવાહીનું દબાણ વધી રહ્યું છે.
આપણ વાંચો : રાજા રઘુવંશી હત્યાકાંડ: કેમ સોનમે રાજાની હત્યા પિસ્તોલથી ન કરી?