પ્રવાસીઓ માટે મોટા સમાચાર: એક્સ્ટ્રા લગેજ પર કોઈ ફાઇન નહીં લાગે, રેલવે પ્રધાને કરી સ્પષ્ટતા

નવી દિલ્હીઃ ભારતીય રેલવે હવે હવાઈ યાત્રા માફક લગેજને લઈ નવા નિયમ લાગુ કરી શકે છે, જેના અન્વયે યાત્રા વખતે વધારે સામાન લઈ જનારા પ્રવાસી પાસેથી વધુ ભાડું વસૂલશે. આ મુદ્દે આજે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી હતી અને તમામ અહેવાલોને ફગાવ્યા હતા.
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે દાયકાઓથી પ્રવાસીઓ પોતાની પાસે કેટલો સામાન લઈ જાય એના નિયમો છે, જ્યારે એના માટે કોઈ નવા નિયમો બનાવ્યા નથી. એટલે એનો અર્થ એ નથી કે વધારે વજન હોવાથી વધુ ભાડું વસૂલવામાં આવશે.
આ પણ વાંચો: વલસાડના પ્રવાસીઓ માટે ખુશખબર: વંદે ભારત ટ્રેનને હવે વલસાડમાં હોલ્ટ…
આ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે ભારતીય રેલવે હવે હવાઈ સેક્ટરના માફક પ્રવાસી પાસેના વજન પ્રમાણે ભાડું વસૂલવાનો નિયમ બનાવ્યો છે. લગેજ પ્રમાણે રેલવે પ્રવાસી પાસેથી વધુ ભાડું વસૂલશે એવી સમાચાર વહેતા થયા હતા, જ્યારે આ નિયમ પહેલા હતો, પરંતુ સખતાઈથી તેને લાગુ પાડવામાં આવ્યો નહોતો. આ નિયમ અન્વયે નિર્ધારિત કરેલ વજન સાથે પ્રવાસી મફત મુસાફરી કરી શકે, પણ વધુ સામાન હોય તો વધુ ભાડું વસૂલવામાં આવશે. આ નિર્ણયને કારણે રેલવે પ્રશાસનની ટીકા કરવામાં આવી હતી.
રિપોર્ટમાં જણાવ્યું હતું કે નવા નિયમ અનુસાર અલગ અલગ કોચની કેટેગરીના હિસાબથી વધુ સામાન લઈ જવાની છૂટછાટ આપવામાં આવે છે. જેમ કે ફર્સ્ટ ક્લાસ એસી કોચમાં મુસાફરી કરનારા પ્રવાસી 70 કિલો સુધીનો સામાન લઈ જવાની મંજૂરી છે. એસી સેકન્ડ ક્લાસના પ્રવાસીઓની મર્યાદા 50 કિલો અને થર્ડ એસી અને સ્લીપરમાં મુસાફરી કરનારા પ્રવાસીઓને 40 કિલો સુધીની લિમિટ હોય છે. એ જ રીતે જનરલ ટિકિટ પર મુસાફરી કરનારા પેસેન્જરને 35 કિલો સુધીનું વજનની મંજૂરી હોય છે.