સદી જૂના એલ્ફિન્સ્ટન પુલનું તોડકામ શરૂઃ મહારેલે પુનર્નિર્માણ માટે 82 ટ્રાફિક બ્લોક માટે મંજૂરી માંગી

મુંબઈઃ બ્રિટિશ યુગનો એલ્ફિન્સ્ટન રોડ બ્રિજ, જે હવે પ્રભાદેવી તરીકે ઓળખાય છે, તેને સલામતીના કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે. એક સદી પહેલા બનેલો આ બ્રિજ, હવે મુંબઈની વધતી જતી પરિવહન માંગને પહોંચી વળવા અસમર્થ છે અને તેથી તેને તોડીને તેના સ્થાને આધુનિક ડબલ-ડેકર ફ્લાયઓવર બનાવવામાં આવશે.
શુક્રવાર રાતથી આ પુલ બંધ કરવામાં આવ્યો હોવાથી, ટ્રાફિકને કરી રોડ અને નજીકના પુલો પર વાળવામાં આવો છે, જેના કારણે ભારતમાતા, લાલબાગ, પરેલ, ચિંચપોકલી અને દાદરમાં તિલક પુલની આસપાસ ટ્રાફિક જામ થયો છે. બેસ્ટ બસોને પણ ડાયવર્ટ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ પણ વાંચો: એલ્ફિન્સ્ટન બ્રિજ વિસ્તારની અસરગ્રસ્ત ઇમારતોના રહેવાસીઓને રાહત, એકનાથ શિંદેની મોટી જાહેરાત
એમએમઆરડીએ દ્વારા નિયુક્ત મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશને (મહારેલે) મધ્ય અને પશ્ચિમ રેલ્વે પાસેથી 82 ટ્રાફિક બ્લોક માંગ્યા છે. આ દરેક બ્લોક, ઓછામાં ઓછા ચાર કલાક સુધી ચાલશે અને મુખ્યત્વે રાત્રીના સમયે લેવામાં આવશે જેથી વિક્ષેપ ઓછો થાય.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જૂના માળખાને તોડી પાડવા માટે 800-મેટ્રિક-ટનની બે વિશાળ ક્રેનનો ઉપયોગ કરવામાં આવશે. મોટાપાયે તોડકામ કરવાનું હોવા છતાં, રેલવે અધિકારીઓએ ખાતરી આપી હતી કે પશ્ચિમ અને મધ્ય લાઇન પર ટ્રેન સેવાઓને કોઈ મોટી અસર નહીં થાય.
આ પણ વાંચો: બ્રિટીશ યુગના એલ્ફિન્સ્ટન બ્રિજને ગણેશોત્સવ બાદ ૧૦ સપ્ટેમ્બરથી બંધ કરાશે…
મંજૂરીઓ મળ્યા બાદ પ્રોજેક્ટને લગભગ એક વર્ષની અંદર પૂર્ણ થવાનું અનુમાન છે. અધિકારીઓના કહેવા મુજબ એકવાર થાંભલાઓ બેસાડ્યા બાદ કામ ઝડપથી આગળ વધશે, જેના કારણે મુંબઈના સૌથી વધુ વ્યસ્ત પરિવહન વિસ્તારમાં મુસાફરી સરળ બનશે.