નેશનલ

‘સંસદમાં બોલવાનો મોકો નથી મળતો’, રાહુલ ગાંધીના આક્ષેપો બાદ લોકસભામાં હોબાળો

નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રમાં પક્ષ અને વિપક્ષ આમનેસામને આવી ગયાં છે. વિપક્ષ દ્વારા વરંવાર સત્તાપક્ષ પર આક્ષેપો કર્યાં છે, તો સામે સત્તાપક્ષ દ્વારા તેના જવાબો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવ્યાં છે.આ વિવાદ હજી પણ પૂરો થયો નથી. ફરી એકવાર રાહુગ ગાંધીએ લોકસભામાં ગંભીર આરોપ લગાવ્યાં છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, સદનમાં બોલવાની પરવાનગી આપવામાં આવતી નથી. સંસદમાં વિપક્ષ દ્વારા નારાબાજી પણ કરવામાં આવી હતી. વિપક્ષના સાંસદોએ ‘રાહુલ ગાંધીને બોલવાનો મોકો આપો’ના નારા પણ લગાવ્યાં હતાં.

સંસદમાં બોલવાનો મોકો નથી મળતોઃ રાહુલ ગાંધી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, સદનમાં આ વિવાદના કારણે સદનની કાર્યવાહીને વારંવાર સ્થગિત કરવાની ફરજ પડી હતી. બાદમાં હોબાળો વધી ગયો હોવાના કારણે સદનની કાર્યવાહીને આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધીનો આક્ષેપ એવો છે કે, તેમને સંસદમાં બોલવાનો મોકો આપવામાં આવતો નથી. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, સદનની કાર્યવાહીના એક કલાક પહેલા તેમણે સ્પીકર સાથે મુલાકાત કરી હતી.તેમણે મને બોલવાનો મોકો આપવાનું વચન આપ્યું હતું.

બજેટ પર ચર્ચા કરવા માટે સ્પીકરે અપીલ કરી

રાહુલ ગાંધીના આક્ષેપ અને દાવા મામલે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સ્પષ્ટપણ કહ્યું કે, રાહુલ ગાંધી દ્વારા કોઈ પણ વિષય અંગે ચર્ચા કરવા માટે કોઈ નોટિસ આપી નથી. આ દરમિયાન અધ્યક્ષે સાંસદોને સંદનની ગરિમા જાળવી રાખવા અને બજેટ પર ચર્ચા કરવા માટે અપીલ કરી હતી. એટલું જ નહીં પરંતુ રાહુલ ગાંધીના આક્ષેપો મામલે ભાજપન સાંસદોએ પણ જવાબ આપ્યો છે. કિરણ રિજિજુએ સ્પષ્ટતા કરી કે ગૃહમાં ગતિરોધ દૂર કરવા માટે સ્પીકરે પોતે પહેલ કરી હતી. ભાજપે વિપક્ષ પર આક્ષેપ કર્યો છે કે, સંસદના નિયમોનું પાલન કર્યા વગર જ વિપક્ષના સાંસદો વિરોધની રાજનીતિ રમી રહ્યાં છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button