વિપક્ષનું ઉગ્ર પ્રદર્શન: રાહુલ ગાંધીની અટકાયત પછી ફરી ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહાર…

નવી દિલ્હીઃ બિહારમાં મતદાન સૂચિના વિશેષ ગહન પુનરાવર્તન અને કથિત મતચોરીના મુદ્દે ઈન્ડિ. ગઠબંધનના સાંસદોએ સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી રેલીનું આયોજન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી હતી.
આ દરમિયાન રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નોટિસનો જવાબ આપતા આરોપ લગાવ્યો હતો કે આયોગ પોતાનો ડેટા છુપાવી રહ્યું છે.
રાહુલ ગાંધીનો ચૂંટણીપંચ પર આરોપ
મીડિયાએ રાહુલ ગાંધીને ચૂંટણીપંચના નોટિસનો જવાબ ન આપવા અંગે સવાલ કર્યો, ત્યારે તેમણે કહ્યું, “આ ચૂંટણીપંચનો ડેટા છે, મારો નહીં કે હું હસ્તાક્ષર કરું. અમે તમને જ આ ડેટા આપ્યો છે, તમે તેને તમારી વેબસાઈટ પર મૂકો, બધાને ખબર પડી જશે. આ ફક્ત બેંગલુરુમાં જ નહીં, દેશના અલગ-અલગ મતદાન વિસ્તારોમાં થયું છે.
ચૂંટણી પંચ જાણે છે કે તેનો ડેટા ફાટશે, તેથી તેને નિયંત્રિત કરવાની સાથે છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.” રાહુલ ગાંધીએ આયોગ પર મતદાર સૂચિમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે.
આજે ઈન્ડિ. ગઠબંધનના સાંસદોએ બિહારમાં SIR અને કથિત મત ચોરી વિરુદ્ધ વિરોધ કરવા સંસદથી ચૂંટણીપંચ સુધી રેલી કાઢી. આ રેલીમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક વિપક્ષી નેતાઓ સામેલ હતા. પોલીસે સંસદ માર્ગ પર બેરિકેડ લગાવીને રેલી રોકી, જેના કારણે સાંસદોએ રસ્તા પર બેસીને નારેબાજી કરી.
મહુઆ મોઈત્રા, સંજના જાટવ અને જોથિમણિ જેવા સાંસદો બેરિકેડ પર ચઢીને વિરોધ કરવા લાગ્યા હતા. આખરે પોલીસે તેમની અટકાયત લઈ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ ગઈ જ્યાં થોડા સમય બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા.
કર્ણાટકની મતદાર યાદીમાં ગેરરીતિના રાહુલ ગાંધીના આરોપોના જવાબમાં ચૂંટણીપંચે સખત વલણ અપનાવ્યું છે. આયોગે રાહુલ ગાંધીને પત્ર લખીને કહ્યું હતું કે, તેમણે મતદાતાઓના નામ, સરનામાં અને ઓળખમાં ગેરરીતિના જે આરોપો લગાવ્યા છે, તેના પુરાવા રજૂ કરે અને શપથપત્ર પર સહી કરે. જો તેઓ આમ નહીં કરે, તો તેમનું નિવેદન પાછું ખેંચી લે અને જનતાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. આ નોટિસે રાજકીય વિવાદને વધુ ઉગ્ર બનાવ્યો છે.
આ પણ વાંચો…પાટનગરમાં વિરોધ પ્રદર્શન: પ્રદર્શનકારીઓને ક્યાં સુધી ગોંધી શકાય? જાણો કાયદો…