![Rahul Gandhi big claim ED raid planned on him after Chakravyuh speech](https://bombaysamachar.com/wp-content/uploads/2024/08/Rahul-Gandhi.webp)
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ(Rahul Gandhi) દાવો કર્યો કે હવે તેમના પર EDના દરોડા પાડવાની યોજના બનાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ આયોજન 29 જુલાઈએ સંસદમાં તેમના ‘ચક્રવ્યુહ’ ભાષણ પછી કરવામાં આવી રહ્યું છે. રાહુલે દાવો કર્યો હતો કે ED ના અધિકારીઓએ તેમને કહ્યું હતું કે દરોડા પાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તેમને ચા -બિસ્કિટ ખવડાવીશ
સોશિયલ મીડિયા એક્સ પર લખતા રાહુલ ગાંધીએ કહ્યું કે ” વાસ્તવમાં બે લોકોને મારુ સંબોધન પસંદ નથી આવ્યું. ઇડીના લોકોએ મને કહ્યું છે કે દરોડો પાડવાની યોજના બનાવવામાં આવી રહી છે. હું હાથ ફેલાવીને તેમની રાહ જોઇ રહ્યો છું. તેમને ચા -બિસ્કિટ ખવડાવીશ. રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટને ઇડીના ડાયરેકટરના સત્તાવાર હેન્ડલ પણ ટેગ કરી છે.
21મી સદીમાં નવું ચક્રવ્યુહ
વાસ્તવમાં 29 જુલાઈએ લોકસભામાં બજેટ ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દરેક જગ્યાએ પ્રતીક પ્રદર્શિત કરવા બદલ ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે 21મી સદીમાં એક નવું ‘ચક્રવ્યુહ’ બનાવવામાં આવ્યું છે.
ચક્રવ્યુહના કેન્દ્રમાં 6 લોકો
રાહુલે કહ્યું હતું કે, “હજારો વર્ષ પહેલાં કુરુક્ષેત્રમાં, અભિમન્યુને ચક્રવ્યુહમાં ફસાવીને છ લોકોએ મારી નાખ્યો હતો. 21મી સદીમાં એક નવું ચક્રવ્યુહ બનાવવામાં આવ્યું છે.જ્યારે મેં થોડું સંશોધન કર્યું તો મને જાણવા મળ્યું કે ચક્રવ્યુહને પદ્મવ્યુહ પણ કહેવામાં આવે છે. જેનો અર્થ કમળના આકારનો છે. અભિમન્યુ સાથે જે થયું તે આજે ભારતના લોકો સાથે થઈ રહ્યું છે. અભિમન્યુને છ લોકોએ માર્યો હતો. આજે પણ કેન્દ્રમાં છ લોકો જ ભારતને નિયંત્રિત કરે છે – નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજિત ડોભાલ અને અંબાણી- અદાણી.
Also Read –