
બેંગલૂરુઃ બુધવારે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના ચૅમ્પિયનપદની ઉજવણીની ઇવેન્ટ માણવા લાખોની સંખ્યામાં લોકો ધસી આવ્યા અને ધક્કામુક્કી (STEMPEDE) થતાં 11 જણના જીવ ગયા અને અનેકને ઈજા પહોંચી એ ઘટના વિશે જાણીતા અભિનેતા આર. માધવને દુઃખ વ્યક્ત કર્યું છે અને અસરગ્રસ્ત લોકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને એ સાથે માધવને ક્રિકેટપ્રેમીઓને એક મહત્ત્વની સલાહ પણ આપી છે.
આઇપીએલના ઇતિહાસમાં આરસીબી પહેલી વખત ચૅમ્પિયન બની અને એની ખુશાલીમાં સહભાગી થવા લોકો બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ધસી આવ્યા હતા.
આપણ વાંચો: બેંગલૂરુના સત્તાવાળાઓ મુંબઈ, કોલકાતા, અમદાવાદ, ધરમશાલાની ઘટના પરથી કેમ ન શીખ્યા?: બીસીસીઆઇ
ખેલાડીઓ વિધાનસભા ખાતેના સમારોહ બાદ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા, પરંતુ સ્ટેડિયમમાં અંદર સમારોહ ચાલી રહ્યો હતો ત્યારે બહાર નાસભાગની ગંભીર ઘટના બની હતી જેમાં સલામતીની અપૂરતી વ્યવસ્થાને કારણે લોકોમાં ધક્કામુક્કી થઈ હતી અને અનેકને ગૂંગળામણ તથા ડિહાઇડ્રેશનની તકલીફ થઈ હતી. અસંખ્ય લોકોના ચપ્પલ-બૂટ નીકળી ગયા હતા અને વિવિધ જૂથો તથા પરિવારના સભ્યો એકમેકથી વિખૂટા પડી ગયા હતા.

આર. માધવને ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં લખ્યું છે, `બેંગલૂરુની ભાગદોડની ઘટનાથી મારું દિલ તૂટી ગયું છે. આરસીબીના તમામ ચાહકોને મારી નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને જવાબદાર બનો, પોતાની સુરક્ષાની કાળજી રાખો અને ક્યારેય પણ સત્તાવાળાઓનો ખુલાસો ન આવે ત્યાં સુધી ક્યારેય કોઈ અફવા (RUMOR)ને સાચી ન માની લો.’
માધવન ઉપરાંત અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, વિવેક ઑબેરોય અને બીજા ઘણા સેલિબ્રિટિઝે બેંગલૂરુની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.’