કતાર એરવેઝની ગંભીર બેદરકારી: શાકાહારી મુસાફરને માંસાહારી ભોજન આપતા મોત, જાણો શું છે આખો મામલો

જ્યારે એક લાંબી ફ્લાઇટમાં શાકાહારી મુસાફરને માંસાહારી ભોજન આપવાથી તેનું જીવન જોખમમાં મુકાઈ જાય અને અંતે તેનું અવસાન થઈ જાય, ત્યારે તે માત્ર એક ભૂલ નથી, પરંતુ વિમાન કંપનીની ગંભીર બેદરકારીનું પ્રતીક બની જાય છે. કેલિફોર્નિયાના નિવૃત્ત હૃદયરોગ ડૉ. અશોક જયવીરા સાથે પણ આવી જ દુઃખદ ઘટના 2023માં કતાર એરવેઝની ફ્લાઇટમાં બની હતી, જેમાં તેમણે ક્રૂ મેમર પાસે શાકાહારી ભોજનનો ઓર્ડર આપ્યો હતો.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, 85 વર્ષીય ડૉ. અશોક જયવીરા, જે ચૂસ્ત શાકાહારી હતા, તેમણે લોસ એન્જલસથી કોલંબો જતી કતાર એરવેઝની ફ્લાઇટ માટે 15.5 કલાકની યાત્રા માટે ખાસ શાકાહારી ભોજનનું પ્રિ-ઓર્ડર કર્યો હતો. પરંતુ ફ્લાઇટમાં ક્રૂમેમ્બરે તેમને કહ્યું કે શાકાહારી ભોજન ઉપલબ્ધ નથી, અને તેમને માંસાહારી ભોજન આપીને કહ્યું કે માંસ છોડીને બાકીનું ખાઈ લો. આ ઘટના 1 ઓગસ્ટ 2023ના રોજ બની હતી. માસાહારી ખાઈને તેનો શ્વાસ રોધાયો, તે બેહોશ થઈ ગયા, અને અંતે ફ્લાઇટને ઇમરજન્સીમાં સ્કોટલેન્ડના એડિનબર્ગમાં લેન્ડ કરવાની ફરજ પડી હતી.
ફ્લાઇટ ક્રૂએ તાત્કાલિક મદદ કરવાનો પ્રયાસ કર્યો અને મેડએર જેવા રિમોટ મેડિકલ સલાહકારોની મદદ લીધી, પરંતુ ડૉ. જયવીરાની હાલત વધુ ગંભીર બની. અંતે ફ્લાઇટને તાત્કાલિક લેન્ડિંગ માટે લઈ જવી પડી હતી. જ્યે દર્દીને એડિનબર્ગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ તેમનું 3 ઓગસ્ટના રોજ મોત નિપજ્યું હતું. મૃત્યુનું કારણ એસ્પિરેશન ન્યુમોનિયા – એટલે કે ખોરાક અથવા પ્રવાહીનું ફેફસાંમાં ફસાઈ જવાથી આપવામાં આવ્યું હતું.
મૃતકના દીકરા સુર્યા જયવીરાએ તાજેતરમાં કતાર એરવેઝ વિરુદ્ધ ખોટી મૃત્યુનો કેસ પણ દાખલ કર્યો છે, જેમાં ભોજન સેવા અને મેડિકલ પ્રતિસાદમાં બેદરકારીના આરોપો લગાવ્યા છે. કેસમાં કહેવામાં આવ્યું છે કે એરલાઇન્સે પ્રિ-ઓર્ડર કરેલું શાકાહારી ભોજન આપવામાં નિષ્ફળ રહી અને ઇમરજન્સીમાં પર્યાપ્ત મદદ નથી કરી. પરિવારે લાપરવાહી અને ખોટી મૃત્યુ માટે 1.28 લાખ ડોલર (લગભગ 1.1 કરોડ રૂપિયા)ની વળતરની માંગ કરી છે, જે મોન્ટ્રિયલ કન્વેન્શનની ન્યૂનતમ રકમ છે.
કેસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કતાર અને અમેરિકા મોન્ટ્રિયલ કન્વેન્શનના સભ્ય છે, જે એરલાઇન્સની જવાબદારીને નિયંત્રિત કરતી આંતરરાષ્ટ્રીય સંધિ છે. આ કન્વેન્શન ફ્લાઇટ પર મૃત્યુ અથવા ઇજાના કિસ્સામાં લગભગ 1.75 લાખ ડોલરનું મહત્તમ વળતર નક્કી કરે છે. પરિવાર આ કન્વેન્શનની મર્યાદાથી વધુ વળતર મેળવવા માટે લડી રહ્યો છે, જેથી આવી ઘટનાઓથી બચવા માટે એરલાઇન્સને સુધારા કરવા મજબૂર કરી શકાય.
આ પણ વાંચો…ઈરાન ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ઈરાકે એરસ્પેસ બંધ કરી, કતાર એરવેઝે પણ અનેક ફ્લાઇટ રદ કરી