નેશનલ

જાસૂસી કૌભાંડમાં નવો વળાંક: યુટ્યુબર જસબીર સિંહના મોબાઈલમાંથી 150 પાકિસ્તાની કોન્ટેક્ટ મળ્યા…

નવી દિલ્હી: પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા પંજાબના યુટ્યુબર જસબીર સિંહને લઈને અનેક ખુલાસા થયા છે. તે ગયા મહિના જ પાકિસ્તાનનો પ્રવાસ કરીને આવ્યો હતો અને તેના મોબાઈલમાંથી 150 જેટલા પાકિસ્તાની કોન્ટેક્ટ મળી આવ્યા છે. જસબીરની 4 જૂનના રોજ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે.

ISI ના દાનિશ ઉર્ફે ​​એહસાન-ઉર-રહેમાનના સંપર્કમાં
મીડિયા અહેવાલો અનુસાર, જસબીરે રિમાન્ડ દરમિયાન પોલીસને જણાવ્યું છે કે તેણે પોતાનું લેપટોપ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીને એક કલાક માટે આપ્યો હતો. તે પણ જ્યોતિ મલ્હોત્રાની જેમ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના ઓપરેટિવ દાનિશ ઉર્ફે ​​એહસાન-ઉર-રહેમાનના સંપર્કમાં હતો. તેણે મોહાલીની અદાલતને જણાવ્યું કે એક મહિલા મિત્રએ તેને દાનિશ સાથે પરિચય કરાવ્યો હતો.

જસબીરે પોલીસને પૂછપરછ દરમિયાન જણાવ્યું કે દાનિશે જ તેના માટે કેટલાક સિમ કાર્ડ પણ ઓર્ડર કર્યા હતા. આ જાસૂસી નેટવર્ક સાથે દાનિશનું કનેક્શન મળ્યા બાદ સરકારે કડક કાર્યવાહી કરીને તેને પાકિસ્તાન પરત મોકલી દીધો હતો. અગાઉ, જસબીર પાકિસ્તાનના ગુપ્તચર અધિકારી શાકિર ઉર્ફે ​​જટ્ટ રંધાવા સાથે પણ જોડાયેલો હોવાનું સામે આવ્યું હતું. વર્ષ 2020, 2021 અને 2024 માં પાકિસ્તાનના પ્રવાસો દરમિયાન જસબીર ISI અધિકારીઓના સીધા સંપર્કમાં આવ્યો હતો. તેણે ખુલાસો કર્યો કે પાકિસ્તાનના પૂર્વ પોલીસકર્મી નાસિર ઢિલ્લોને તેને લાહોરમાં ISI ના અધિકારીઓ સાથે પરિચય કરાવ્યો હતો.

અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
ઉલ્લેખનીય છે કે રૂપનગર જિલ્લાનો રહેવાસી જસબીર સિંહ ઉર્ફે જાન મહેલ તેના યુટ્યુબ ચેનલ પર પ્રવાસ અને ફૂડ સંબંધિત વિડીયો બ્લોગ પોસ્ટ કરતો હતો. શનિવારે, ત્રણ દિવસની પોલીસ કસ્ટડી પૂરી થયા બાદ તેને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે સાત દિવસની રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button