પંજાબ પોલીસે કોંગ્રેસ વિધાનસભ્ય સુખપાલ ખૈરાની ધરપકડ કરી
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/09/Punjab-police.jpeg)
પંજાબ પોલીસે કોંગ્રેસના વિધાનસભ્ય સુખપાલ ખૈરા પર મોટી કાર્યવાહી કરતા ધરપકડ કરી છે. પંજાબના ભુલથાથી કોંગ્રેસના વિધાનસભ્ય સુખપાલ ખૈરાની જલાલાબાદ પોલીસે આજે ગુરુવારે સવારે 6.30 વાગ્યે ધરપકડ કરી હતી.
જલાલાબાદ પોલીસ આજે વહેલી સવારે ખૈરાના ધરપકડ કરવા માટે ચંદીગઢ સ્થિત તેમના ઘરે પહોંચી હતી. પોલીસે કહ્યું કે તેની સામે એનડીપીએસ એક્ટનો જૂનો કેસ હતો, તેના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, કોંગ્રેસના વિધાનસભ્યએ આરોપ લગાવ્યો કે મુખ્યપ્રધાન ભગવંત માન તેમની સામે દુશ્મનાવટ રાખી આ કાર્યવાહી કરાવી રહ્યા છે. કોંગ્રેસના વિધાનસભ્યને આજે જલાલાબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ 5 માર્ચ 2015ના રોજ જલાલાબાદ પોલીસે હેરોઈન અને હથિયારો સાથે આઠ લોકોની ધરપકડ કરી હતી. બાદમાં સુખપાલ સિંહ ખૈરાને પણ આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખૈરાએ સુપ્રીમ કોર્ટમાંથી આ કેસ જીત્યો હતો, જો કે તેની પુષ્ટિ થઈ નથી.
મળતી માહિતી મુજબ, જલાલાબાદ પોલીસ જ્યારે ચંદીગઢ સ્થિત ખૈરાના ઘરે પહોંચી તો ખૈરાએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે પહેલા ધરપકડ વોરંટ બતાવ્યા પછી જ પોલીસ તેની ધરપકડ કરી શકે છે. આ મુદ્દે પોલીસ અને ખૈરા વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમગ્ર મામલે વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પછી ખેરાએ કહ્યું કે આ આખી કાર્યવાહી બદલાની ભાવના સાથે થઇ રહી છે. તે કોઈપણ કિંમતે આ સહન કરશે નહીં.