પંજાબના 1200થી વધુ ગામ પૂરથી પ્રભાવિત, રાજ્યને આપત્તિગ્રસ્ત જાહેર કરાયું

ચંદીગઢ : દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદના પગલે જનજીવનને વ્યાપક અસર થઈ છે. જેમાં સૌથી વધુ અસર ગ્રસ્ત રાજ્ય પંજાબમાં ભારે વરસાદ અને પૂરના લીધે હાલત કફોડી બની છે. રાજ્યના 23 જીલ્લામાં 1200 થી વધુ ગામો પૂરની ચપેટમાં છે. જેના પગલે રાજ્ય સરકારે રાજ્યને આપત્તિગ્રસ્ત જાહેર કર્યું છે. આ અંગે મુખ્ય સચિવ કેએપી સિન્હાએ આદેશ જાહેર કર્યો છે. તેમજ તમામ વિભાગોને એલર્ટ કર્યા છે. આપદા પ્રબંધન અધિનિયમ 2025 અંતર્ગત તમામ જીલ્લા ક્લેકટરોને રાહત કાર્યમાં તેજી લાવવા આદેશ આપ્યા છે.
તમામ સ્કૂલો, કોલેજ, યુનિવર્સીટીઓ બંધ રાખવા આદેશ
રાજ્યના પૂરની ગંભીર સ્થિતિને જોતા રાજય સરકારે તમામ સ્કૂલો, કોલેજ, યુનિવર્સીટી અને પોલિટેકનીકો ને 7 સપ્ટેબર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય અત્યારે ભીષણ પૂરનો સામનો કરી રહ્યો છે. ભારે વરસાદ અને બંધમાંથી છોડવામાં આવતા પાણીના લીધે અનેક જીલ્લામાં પૂરની સ્થિતિ છે. તેમજ હાલત વધુ બગડી રહી છે. તેમજ આગામી દિવસોમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
પાક બરબાદ પશુ ધનને પણ નુકસાન
પંજાબમાં હાલમાં 3.75 એકર કૃષિ ભૂમિ પાણીમાં ડૂબેલી છે. જેના લીધે પાક બરબાદ થયો છે. આ ઉપરાંત ભારે સંખ્યામાં પશુધનનું નુકસાન થયું છે. જેના લીધે ગ્રામીણ લોકોની આજીવિકાને પણ અસર થઈ છે.
6 વર્ષમાં પંજાબમાં ત્રીજી વાર પૂરની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 વર્ષમાં પંજાબમાં પૂરની સ્થિતી સર્જાવાની આ ત્રીજી ઘટના છે. અગાઉ 2023માં 1,500થી વધુ ગામો અસરગ્રસ્ત થયા હતા અને 2 લાખ હેક્ટર જમીન પરની પાકને વ્યાપક નુકસાન થયું હતું. વર્ષ 2019માં પણ 300થી વધુ ગામોને અસર થઈ હતી. આ વર્ષે પણ રાજ્યમાં સિઝનનો રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. તેમજ હજુ પણ ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો…પંજાબમાં પૂરની પરિસ્થિતિ: આકાશી આફતે વિનાશ વેર્યો, 30ના મોત 2.5 લાખ અસરગ્રસ્ત