Swati Maliwal મુદ્દે પ્રિયંકા ગાંધી, માયાવતી અને ભાજપનાં નેતાએ આપી આકરી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાનાં સાંસદ સ્વાતિ માલીવાલ સાથે સીએમ હાઉસમાં મારપીટનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કેજરીવાલના પીએ વિભવ કુમારે સ્વાતિ માલીવાલ (Swati Maliwal) સાથે ગેરવર્તણૂક કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂક કરવાના કિસ્સામાં રાષ્ટ્રીય મહિલા પંચે સમન્સ મોકલવામાં આવ્યો હતો, જ્યારે આ મુદ્દે કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi), માયાવતી (Mayavati) સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાએ આકરી પ્રતિક્રિયા આપી છે.
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આ બાબતમાં મને વધુ કંઈ ખબર નથી, કારણ કે હું ઉત્તર પ્રદેશમાં છું. પણ જ્યારે કોઈ મહિલા સાથે કોઈ પણ અત્યાચાર થાય છે, ત્યારે હું તો મહિલાના પક્ષમાં બોલીશ અને તેની સાથે રહીશ. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતા આ મુદ્દે શા માટે બોલે છે. હાથરસ મુદ્દે ભાજપના નેતાઓએ કંઈ કર્યું નહોતું. ઉન્નાવ કેસમાં પણ કંઈ કર્યું નહોતું.
પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે વાસ્તવમાં જો કંઈ ખરાબ થયું હોય તો એ મહિલાની સાથે છું. જો સ્વાતિ માલીવાલ મારી પાસે આવીને વાત કરવા ઈચ્છે તો હું વાત કરીશ. જો કેજરીવાલને આ મુદ્દે ખબર હશે તો કેજરીવાલ પણ કાર્યવાહી કરશે એવી મને અપેક્ષા છે. આ મુદ્દે કેજરીવાલ પણ ઉકેલ લાવશે અને સ્વાતિ માલીવાલને સ્વીકાર્ય હશે. હું હંમેશાં મહિલાઓના અત્યાચાર વિરોધ બોલતી આવી છું અને આ મુદ્દે પણ જે કોઈ એક્શન લેવાનું જરુરી હશે એ લેવા જોઈએ એમ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: Swati Maliwal row: મહિલા આયોગે અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમારને સમન્સ પાઠવ્યું
દરમિયાન બહુજન સમાજવાદી પાર્ટી (બસપા)ના પ્રમુખ માયાવતીએ કહ્યું હતું કે મહિલાઓની સુરક્ષા, સન્માન અને ઉત્પીડન કરનારા સામે સખત કાર્યવાહી કરવામાં કોઈ પણ પાર્ટી અથવા ગઠબંધને બેવડા ધોરણો અપનાવવા જોઈએ નહીં.
ભાજપનાં નેતા શાજિયા ઈલ્મીએ કહ્યું કે આ ઘટનાના 32 કલાક પછી સંજય સિંહે કહ્યું હતું કે આ મુદ્દે એક્શન લેવામાં આવશે. આમ છતાં વિભવ કુમાર કેજરીવાલની સાથે ફરી રહ્યો છે. હજુ સુધી શા માટે કોઈ એફઆઈઆર કરવામાં આવી નથી. અરવિંદ કેજરીવાલ પણ અત્યાર સુધીમાં એક શબ્દ બોલ્યા નથી. માલીવાલ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી ચૂપકીદી રાખવામાં આવી રહી છે. દુનિયાભરની આ લોકો વાતો કરે છે પણ પોતાની પાર્ટીના લોકો માટે એક શબ્દ સુદ્ધા બોલતા નથી, એમ તેમણે જણાવ્યું હતું.