વડા પ્રધાનનો કાશ્મીર પ્રવાસ રદ થવા અંગે ખડગે કર્યો ચોંકાવનારો દાવો; સરકાર પર ગંભીર આરોપ

રાંચી: જમ્મુ અને કાશ્મીરના પહલગામ થયેલા આતંકવાદી હુમલો અને ત્યાર બાદ વધી રહેલા ભારત-પાકિસ્તાન તણાવનો મુદ્દો હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. 23 એપ્રિલના રોજ આ હુમલો થયો હતો, એ પહેલા વડાપ્રધાન મોદી પ્રદેશની મુલાકાતે (PM Modi Kashmir Visit) જવાના હતાં.
પરંતુ ખરાબ હવામાનને કારણે વડાપ્રધાનની મુલાકાત રદ કરવામાં આવી હતી. એવામાં કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge)એ ચોંકાવનારો દાવો કર્યો હતો.
આપણ વાંચો: ‘RSSની વિચારધારા ગાંધી અને આંબેડકર વિરોધી’ અમદાવાદ અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગેનું સંબોધન
મલ્લિકાર્જુન ખડગેએ એક નિવેદનમાં દાવો કર્યો કે આતંકવાદી હુમલા અંગેના ગુપ્તચર અહેવાલોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. ઝારખંડના રાંચીમાં એક કાર્યક્રમમાં આ દરમિયાન સવાલો ઉઠાવતા ખડગેએ કહ્યું કે આતંકવાદી હુમલાના ગુપ્તચર અહેવાલો હોવા છતાં કેન્દ્રએ પહેલગામમાં વધુ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કેમ ન કર્યા?
નોંધનીય છે કે એક અહેવાલમાં ઈન્ટેલીજન્સ વિભાગના અધિકારીઓને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે કાશ્મીરમાં આતંકવાદી હુમલા અંગે ગુપ્તચર માહિતી મળી હતી, જે અંગે સ્થાનિક તંત્રને જાણ પણ કરવામાં આવી હતી. વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને શ્રીનગર વધારાની સુરક્ષા પણ ગોઠવવામાં આવી હતી.
સરકાર જવાબદારી સ્વીકારે:
ખડગેએ એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે કેન્દ્ર સરકારે ગુપ્તચર નિષ્ફળતા સ્વીકારી લીધી છે, તો શું સરકારને પહેલગામ હુમલામાં લોકોના મોત માટે જવાબદાર ન ઠેરવવી જોઈએ? મલ્લિકાર્જુન ખડગેએ એવી પણ ખાતરી આપી કે પહેલગામ હુમલા પછી પાકિસ્તાન વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી માટે કોંગ્રેસ સરકારની સાથે છે, પરંતુ દેશ પક્ષથી વધીને છે.
કેન્દ્ર સરકાર દલિત વિરોધી:
મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એવો પણ આરોપ લગાવ્યો કે તેમની સરકારની નીતિ જાહેર ક્ષેત્રની સંસ્થાઓને બંધ કરવાની અને SC, ST અને OBC સમુદાયો પાસેથી નોકરીઓ છીનવી લેવાની છે જ્યારે કોંગ્રેસ પાર્ટી ભારત માટે, ગરીબો માટે, આદિવાસીઓ માટે લડી રહી છે. તેમણે કહ્યું કે ભાજપ ફક્ત સૂત્રોચ્ચાર કરવામાં માને છે.