પ્રફુલ્લ પટેલે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા

નવી દિલ્હી: એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે શુક્રવારે રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડની હાજરીમાં સંસદના ઉપલા ગૃહના સભ્ય તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા.
21 ફેબ્રુઆરીએ પ્રફુલ્લ પટેલને રાજ્યસભાના સભ્ય તરીકે બિનવિરોધ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે જણાવ્યું હતું કે રાજ્યસભાના સાંસદ તરીકે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની હાજરીમાં શપથ ગ્રહણ કરીને અત્યંત સન્માનિત થયો છું. તેમણે આ ક્ષણોને ગૌરવપૂર્ણ અને દેશની સેવા માટેની તક હોવાનું જણાવ્યું હતું.
રાજ્યસભાના સભ્ય તરીકે પ્રફૂલ્લ પટેલની છઠી ટર્મ છે. તેઓ ચાર વખત લોકસભામાં પણ ચૂંટાઈ આવ્યા છે.
પટેલે રાજયસભાના સભ્ય તરીકે અધવચ્ચે રાજીનામું આપ્યું હતું કેમ કે એનસીપીમાં ભંગાણ બાદ તેઓ અજિત પવારના જૂથની સાથે જોડાયા હતા. શરદ પવારે પટેલ સામે અપાત્ર કરવા માટે ટેન્થ શિડ્યુલ હેઠળ ફરિયાદ કરતાં તેમણે રાજીનામું આપ્યું હતું અને ફરી તેઓ ચૂંટાઈ આવ્યા હતા. (પીટીઆઈ)