POK ભારતનો જ હિસ્સો અને એક દિવસ સાથે આવશેઃ રાજનાથ સિંહે કર્યો વિશ્વાસ વ્યક્ત

નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે PoKમાં રહેતા લોકો ભારતના જ છે અને મને પૂરો વિશ્વાસ છે કે એક દિવસ તેઓ સ્વેચ્છાએ ભારતની મુખ્યધારામાં પાછા ફરશે.
તેમણે ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત પાકિસ્તાનને ઘણું વધારે નુકસાન પહોંચાડી શકતું હતું, તેમ છતાં ભારતે સંયમ દાખવ્યો.
આપણ વાંચો: રાજનાથ સિંહે સેનાના જવાનો સાથે કરી મુલાકાત, પાકિસ્તાનને આપી ચેતવણી કરી આ મોટી માંગ
સંરક્ષણ પ્રધાને PoKના લોકો પ્રત્યે ભાવનાત્મક અપીલ કરતા કહ્યું કે PoKના લોકો આપણા પોતાના છે. PoKના મોટા ભાગના લોકો ભારત સાથે નજીકનું જોડાણ અનુભવે છે. ત્યાં રહેતા મુઠ્ઠીભર લોકો જ એવા છે જેમને ભ્રમિત કરવામાં આવ્યા છે.
તેમણે મહારાણા પ્રતાપ અને તેમના નાના ભાઈ શક્તિ સિંહનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે મારો જ ભાઈ છે, મારાથી દૂર ક્યાં જશે? ભારત હંમેશાં દિલને જોડવાની વાત કરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે એક દિવસ PoK સ્વયં પાછું આવીને કહેશે, હું ભારત છું અને પરત આવ્યો છું.
આપણ વાંચો: ‘આપણા દુશ્મનોને સ્પષ્ટ સંદેશ અપાયો…’ રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર અંગે આપ્યું નિવેદન
ઓપરેશન સિંદૂર: સ્વદેશી હથિયારોએ દુનિયાને ચોંકાવી
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ‘ઓપરેશન સિંદૂર’ની સફળતાની વાત કરતાં કહ્યું કે આપણે ઓપરેશન સિંદૂર દરમિયાન ઘણા સ્વદેશી હથિયારોનો ઉપયોગ કર્યો. આ હથિયારોએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું.
આ નિવેદન ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલની સફળતા અને આત્મનિર્ભરતાના વધતા કદને દર્શાવે છે. તેમણે જણાવ્યું કે તાકાતની સાથે સંયમ પણ જરૂરી છે, અને ભારતે પાકિસ્તાન સામેના સંઘર્ષમાં આ વાત સાબિત કરી દીધી છે.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર મુદ્દે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સર્વપક્ષીય બેઠકમાં કરી આ મોટી વાત
પહલગામ હુમલાનો બદલો અને સંયમની નીતિ
સંરક્ષણ પ્રધાને યાદ અપાવ્યું કે, ભારતે પહલગામ આતંકી હુમલાનો બદલો ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા લીધો હતો. આ ઓપરેશન દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoKમાં સ્થિત આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.
પાકિસ્તાને તેના જવાબમાં ભારતીય શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેણે ડ્રોન અને મિસાઈલનો પણ ઉપયોગ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ તે પ્રયાસોને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા હતા. રાજનાથ સિંહે ભારપૂર્વક કહ્યું કે ભારત ઘણું વધારે કરી શકતું હતું, પરંતુ એક નિશ્ચિત સ્તરે પહોંચ્યા પછી પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી યુદ્ધવિરામની અપીલને ભારતે સ્વીકારી લીધી, જે ભારતના સંયમ અને જવાબદાર વલણને દર્શાવે છે.
ભારતની સ્વતંત્રતા અને સમૃદ્ધિ પર નિર્ભર PoKનું જોડાણ
રક્ષા પ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, PoKનું ભારત સાથે જોડાણ આ દેશની સાર્વભૌમતા, સ્વતંત્રતા અને સમૃદ્ધિ પર નિર્ભર કરે છે. તેમનું આ નિવેદન PoKને ભારતના અભિન્ન અંગ તરીકે જોવાની ભારતની અડગ સ્થિતિને પુનરાવર્તિત કરે છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભૌગોલિક અને રાજકીય રીતે અલગ થયેલા ભારતીય ભાઈઓ એક દિવસ તેમની આત્માનો અવાજ સાંભળીને ભારતીય મુખ્યધારામાં પાછા ફરશે.