નેશનલ

PMO હવે ‘સેવાતીર્થ’ તરીકે ઓળખાશે, રાજભવનનું નવું નામ ‘લોકભવન’: સરકારે બદલ્યા અનેક સરકારી ભવનોના નામ

નવી દિલ્હીઃ દેશની વહીવટી વિચારધારામાં એક મોટો ફેરફાર આવી રહ્યો છે, જે અંતર્ગત ઘણાં સરકારી ભવનોના નામ બદલવામાં આવ્યા છે. આ શ્રેણીમાં હવે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)નું નામ પણ બદલવામાં આવ્યું છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બની રહેલા નવા PMO બિલ્ડિંગને હવે ‘સેવા તીર્થ’ તરીકે ઓળખવામાં આવશે.

આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ શાસનમાં સત્તા કે અધિકારને બદલે ‘સેવા’ની ભાવનાને અગ્રતા આપવાનો છે. આ એ કેન્દ્ર હશે જ્યાંથી દેશના મહત્વપૂર્ણ અને જનલક્ષી નિર્ણયો લેવાશે, જેનું નામ જ ‘સેવા’ના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.

સરકાર વહીવટી માળખાને એવી ઓળખ આપવા માંગે છે જ્યાં સત્તા કરતાં સેવા અને અધિકાર કરતાં જવાબદારીનું મહત્વ વધુ દેખાય. પીએમઓનું નામ બદલવાનો આ ફેરફાર એક મોટી વિચારધારાનો ભાગ છે, જે તાજેતરના વર્ષોમાં જોવા મળી રહ્યો છે.

આપણ વાચો: Delhi ના સીએમ કાર્યાલયમાંથી બાબા આંબેડકર અને શહીદ ભગતસિંહની તસવીર દૂર કરાયાનો આપનો દાવો

અગાઉ, વડા પ્રધાન આવાસનું સરનામું પણ ‘રેસ કોર્સ રોડ’થી બદલીને ‘લોક કલ્યાણ માર્ગ’ કરવામાં આવ્યું હતું. આ તમામ પરિવર્તનો એવો સંદેશ આપે છે કે સરકારની પ્રાથમિકતા પ્રજાની સેવા કરવાની અને દેશ પ્રત્યેના કર્તવ્યનું પાલન કરવાની છે.

નામો બદલવાની આ પ્રક્રિયા માત્ર PMO સુધી સીમિત નથી. દેશભરના રાજ્યોના રાજભવનોને હવે ‘લોકભવન’ નામ આપવામાં આવી રહ્યું છે. વહીવટી માળખામાં આ પરિવર્તન ‘સત્તા’ના ખ્યાલને ‘સેવા’માં રૂપાંતરિત કરવાના વ્યાપક પ્રયાસને દર્શાવે છે.

આપણ વાચો: કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે પીએમ મોદી સાથે મુલાકાત કરી, અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા

આ ઉપરાંત, દિલ્હીમાં આવેલું કેન્દ્રીય સચિવાલય પણ હવે નવા નામ ‘કર્તવ્ય ભવન’થી ઓળખાશે. આ તમામ ફેરફારો સરકારની નવી પ્રાથમિકતાઓને દર્શાવે છે – જે સેવા, કર્તવ્ય અને પારદર્શિતા પર આધારિત વહીવટની છે.

સરકાર ભારપૂર્વક જણાવે છે કે આ ફેરફારો માત્ર નામ પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે વહીવટી તંત્રની મૂળભૂત વિચારધારામાં આવેલા પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. ઉદાહરણ તરીકે, દિલ્હીના પ્રતિષ્ઠિત રાજપથનું નામ બદલીને ‘કર્તવ્ય પથ’ રાખવામાં આવ્યું છે.

આ પગલા એ સંદેશ આપે છે કે સરકાર શક્તિ પ્રદર્શન માટે નહીં, પરંતુ જનતાની સેવામાં સમર્પિત છે. સત્તાના કેન્દ્રોના નામમાં કરવામાં આવેલા આ બદલાવ, સેવા ભાવના અને જવાબદારી પર આધારિત શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાને સ્પષ્ટપણે દર્શાવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button