‘વડાપ્રધાન ચીકન નથી ખાતા…’ PMO સુધી પહોંચેલા એક કેટરિંગ બીલની કહાણી, પૂર્વ અધિકારીએ કર્યો ખુલાસો

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ડાયરેક્ટ જનરલ ઓફ પોલીસ ઓ પી સિંહ(O P Singh)એ તાજેતરમાં તેમની 37 વર્ષની કારકિર્દી દરમિયાનના અનુભવોને શબ્દોમાં ઢાળીને “થ્રુ માય આઇઝ: સ્કેચેસ ફ્રોમ અ કોપ્સ નોટબુક” (Through My Eyes: Sketches from A Cop’s Notebook) પુસ્તક બહાર પાડ્યું છે. આ પુસ્તકમાં તેમણે ઘણા ખુલસા કર્યા છે, પુસ્તકમાં તેમણે વડાપ્રધાન ઓફીસ(PMO) અને ભોજનમાં “ચીકન” સાથે જોડાયેલો એક રસપ્રદ અને વિચિત્ર કિસ્સો વર્ણવ્યો છે, જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
વર્ષ 1985માં મુરાદાબાદ જિલ્લામાં જ્યારે ઓ પી સિંહ તાલીમ હેઠળ હતાં એ દરમિયાનના એક દિવસનું વર્ણન પુસ્તકમાં કરવામાં આવ્યું છે. તેઓ સિટી મેજિસ્ટ્રેટ અને DSP સાથે રેલ્વે સ્ટેશન નજીક એક રેસ્ટોરન્ટમાં ચા પીવા ગયા હતા, એ સમયે એક માણસ હાથ જોડીને, માથું નમાવીને તેમની સામે ઉભો રહ્યો, તેના હાવભાવમાં હતાશા દેખાઈ રહી હતી.
પુસ્તકમાં કરવામાં આવેલ વર્ણન મુજબ શહેરના મેજિસ્ટ્રેટે એ માણસને ત્યાંથી જવાનું કહ્યું, પરંતુ ઓ પી સિંહનેએ માણસની સમસ્યા વિષે જાણવાની ઈચ્છા થઇ. પૂછપરછ બાદ તેમને જાણવા મળ્યું કે તે માણસ વ્યવસાયે કેટરર હતો. ચૌધરી ચરણ સિંહ (Chaudhari Charan Sinh) વડા પ્રધાન પદ હતાં ત્યારે જિલ્લાની મુલાકાતે આવ્યા હતાં, દરમિયાન વડા પ્રધાનના પ્રવાસ માટે ભોજન પૂરું પાડવાનું કામ તેને સોંપવામાં આવ્યું હતું.
અધિકારીઓ માટે ભોજન બનાવ્યું પણ રૂપિયા ન મળ્યા:
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી ભવ્ય વ્યવસ્થાના ભાગ રૂપે, તેણે ઘણા અધિકારીઓ, મહેમાનો અને કર્મચારીઓને ભોજન તૈયાર કર્યું અને પીરસ્યું. વડાપ્રધાનની મુલાકાત પછી તેણે ₹7,000 નું બિલ મુક્યું, પરંતુ આ સામાન્ય રકમનું બીલ પાસ કરાવવા માટે તેણે વર્ષો સુધી સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડ્યા છતાં બીલ પાસ થઇ શક્યું નહીં, અંતે તેને નુકશાની સહન કરવી પડી. કારણ માત્ર એટલું જ અધિકારીઓને પીરસવામાં આવેલી વાનગીઓમાં “ચિકન”નો ઉલ્લેખ કર્યો હતો.
વહીવટીતંત્રની ભુલભુલામણી:
પુસ્તકમાં કરવામાં આવેલા વર્ણન મુજબ બીલ પાસ કરાવવા કેટરરને વહીવટીતંત્રની જટિલ ભુલભુલામણીમાંથી પસાર થવું પડ્યું. એક ફાઈલથી બીજી ફાઇલ, એક ડેસ્ક પરથી બીજા ડેસ્ક પર, ગરીબ કેટરરનું બિલ દૂર દૂર સુધી ફરતું રહ્યું, સહીઓ, પ્રશ્નો, વાંધા અને આખરે બીલ પર ધૂળ બાજી ગઈ. વર્ષો વીતી ગયા અને બિલનો આખરે વડા પ્રધાન કાર્યાલયમાં પહોંચ્યું, જ્યાં આ બીલ પર અંતિમ મહોરની મારવાની હતી.
આપણ વાંચો: સિક્કિમમાં મેઘતાંડવ: ભૂસ્ખલનને કારણે 1500 પ્રવાસીઓ ફસાયા, 8 ગુમ…
સિસ્ટમ પૈસા ખાઈ ગયું:
વડા પ્રધાન કાર્યાલરે અંતિમ આદેશ આપ્યો કે “વડાપ્રધાન ચિકન ખાતા નથી. બીલનું પેમેન્ટ નકારી કાઢવામાં આવે છે.”
આ કિસ્સા અંગે ઓ પી સિંહે લખ્યું કે, “પૈસા ખવાઈ ગયા- જમનારાઓ દ્વારા નહીં, પરંતુ સિસ્ટમ દ્વારા”.
ઓ પી સિંહે આ કિસ્સાને “બ્યુરોક્રેસીની વિચિત્ર પ્રક્રિયાનનું એક માસ્ટરક્લાસનું ઉદાહરણ” ગણાવ્યો હતો, તેમણે કહ્યું કે તર્ક ઘણીવાર લાલ ફીતાશાહીમાં પાછળ રહેતો હતો.