કેબિનેટની બેઠકમાં વડા પ્રધાન મોદીએ ફરી પ્રધાનોને આપી સલાહ, બિનજરુરી નિવેદનો કરવાનું ટાળો

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ. આ બેઠકમાં PM મોદીએ મંત્રીઓને મહત્વની સૂચનાઓ આપી અને સરકારની છેલ્લા 11 વર્ષની સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડવા જણાવ્યું. આ ઉપરાંત, સરકારે ઝારખંડ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં રેલવેના બે ટ્રેક ડબલિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેની કુલ કિંમત 6,405 કરોડ રૂપિયા છે.
બુધવાર 11 જૂનના મળલે કેબિનેટ બેઠકમાં PM મોદીએ તમામ મંત્રી મંડળને સ્પષ્ટ સૂચના આપી કે તેઓ પોતાના મંત્રાલયના કામકાજથી અલગના મુદ્દાઓ પર બોલવાનું ટાળે અને બિનજરૂરી નિવેદનોથી દૂર રહે. તેમણે મંત્રીઓને પોતાના મંત્રાલયની સિદ્ધિઓ અને કામગીરી જનતા સુધી લઈ જવા અને પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપવા જણાવ્યું. આ ઉપરાંત આ કેબિનેટ બેઠકમાં ઝારખંડના 133 કિલોમીટર લાંબા કોડરમા-બરકાકાના ટ્રેક અને કર્ણાટક-આંધ્રના 185 કિલોમીટરના બેલ્લારી-ચિકજાજુર ટ્રેકના ડબલિંગને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સથી ભારતીય રેલવે નેટવર્ક 318 કિલોમીટર વધી જશે.
આ રેલ પરિયોજનાઓથી 1,408 ગામોની 28.19 લાખની વસતીને રેલ સંપર્કનો લાભ મળશે. આ ટ્રેક કોલસો, લોખંડ, સ્ટીલ, સિમેન્ટ, ખાતર અને પેટ્રોલિયમ ઉત્પાદનોના પરિવહન માટે મહત્વનો સાબિત થશે. જેનાથી વાર્ષિક 4.9 કરોડ ટન વધારાનું માલ પરિવહન શક્ય બનશે, જે રેલવેની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા વધારશે. આ પ્રોજેક્ટ્સથી ભીડ ઘટશે અને લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે.
આ પણ વાંચો - યાત્રી કૃપયા ધ્યાન દે, 1 જુલાઈથી ‘આધાર વેરિફિકેશન’ વિના બુક નહીં થાય તત્કાલ ટિકિટ
પર્યાવરણીય અને આર્થિક લાભ
સરકારી સૂત્રોની જાણકારી પ્રમાણે, આ પરિયોજનાઓથી 52 કરોડ લિટર તેલનું આયાત ઘટશે અને 264 કરોડ કિલોગ્રામ કાર્બન ઉત્સર્જન ઘટશે, જે 11 કરોડ વૃક્ષો રોપવા બરાબર છે. આ યોજનાઓ પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનનો હિસ્સો છે, જે સંકલિત આયોજનથી લોકો, માલસામાન અને સેવાઓની સરળ અવરજવર સુનિશ્ચિત કરશે. આ પ્રોજેક્ટ્સ સ્થાનિકો માટે રોજગાર અને સ્વ-રોજગારની તકો પણ ઊભી કરશે.