PM Modi શ્રીનગરના દાલ લેક પર Yoga Dayની ઉજવણીમાં સામેલ થાય તેવી શક્યતા

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)છેલ્લા એક સપ્તાહથી આતંકી હુમલાની સંખ્યામાં વધી રહી છે. જેમાં પ્રથમ વૈષ્ણોદેવી પાસે તીર્થયાત્રીઓથી ભરેલી બસ પર હુમલો થયો હતો. ત્યારબાદ વધુ ત્રણ હુમલાઓ થયા. આ આતંકી હુમલા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ(PM Modi)સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી હતી. આ દરમિયાન એવા સમાચાર છે કે પીએમ મોદી યોગ દિવસ(Yoga Day)એટલે કે 21 જૂનના રોજ શ્રીનગરના દાલ લેકના(Dal Lake)કિનારે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ તરીકે ત્રીજા કાર્યકાળની શરૂઆત કર્યા બાદ નરેન્દ્ર મોદીની આ પ્રથમ કાશ્મીર મુલાકાત હશે. પીએમ મોદીની મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી.
યોગ દિવસે દાલ લેકના પર આયોજિત કાર્યક્રમમાં હિસ્સો લેશે
સૂત્રોનું કહેવું છે કે દાલ તળાવના કિનારે આ કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થાથી માંડીને કાર્યક્રમના આયોજનમાં વ્યસ્ત છે. પીએમ મોદી દાલ લેક પાસે બનેલા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કાર્યક્રમના મુખ્ય અતિથિ હશે. એક અધિકારીએ કહ્યું, ‘પીએમ નરેન્દ્ર મોદી 20 જૂનની સાંજે જ શ્રીનગર પહોંચશે. આ પછી તેઓ 21મીએ સવારે યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે.
એસપીજીની ટીમ શ્રીનગર પહોંચશે
આ અઠવાડિયે એસપીજીની ટીમ શ્રીનગર પહોંચશે અને વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવશે. એલજી મનોજ સિન્હાએ પ્રશાસનને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવાનો આદેશ આપ્યો છે. મ્મુ-કાશ્મીરના કેટલાક મોટા ખેલાડીઓ અને એથ્લેટ પણ આ ઈવેન્ટમાં ભાગ લઈ શકે છે. ભાજપ પણ આ કાર્યક્રમની તૈયારીઓમાં વ્યસ્ત છે. ભાજપના એક નેતાએ કહ્યું કે અમારા માટે ગર્વની વાત છે કે પીએમ મોદી કાશ્મીરમાં યોગ દિવસમાં ભાગ લેશે. આ વર્ષે માર્ચમાં પણ પીએમ મોદી શ્રીનગર ગયા હતા. જ્યારે તેમણે બક્ષી સ્ટેડિયમમાં એક રેલીને સંબોધિત કરી હતી.
યોગ દિવસ પર PM મોદી માટે કાશ્મીરની મુલાકાત શા માટે મહત્વપૂર્ણ
પીએમ નરેન્દ્ર મોદીની શ્રીનગરમાં યોગ દિવસ મનાવવાની યોજનાને પણ એક સંદેશ તરીકે જોવામાં આવી રહી છે. કાશ્મીરમાં કાર્યક્રમનો ભાગ બનીને તે સંદેશ આપશે કે સુરક્ષા વ્યવસ્થા મજબૂત છે અને આતંકવાદી હુમલાની કોઈ ખાસ અસર નથી. હકીકતમાં, છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદીઓએ કાશ્મીરને બદલે જમ્મુ સાથેના વિસ્તારોને નિશાન બનાવ્યા છે. આ ટ્રેન્ડ પર સંસદીય બાબતોના રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહનું કહેવું છે કે આ આતંકવાદીઓનો ગભરાટ છે કારણ કે તેઓ કાશ્મીરમાં કંઈ કરી શકતા નથી.