ચૂંટણી પ્રચારમાં વડા પ્રધાને 421 વખત મંદિર-મસ્જિદ અને ભાગલાવાદી મુદ્દા પર વાત કરી: ખડગે
![PM spoke on temple-mosque and separatist issue 421 times in election campaign: Khadge](https://bombaysamachar.com/wp-content/uploads/2024/02/Jignesh-J-Pathak-2024-02-03T164653.361.jpg)
નવી દિલ્હી: કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતાં કહ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા ધર્મ અને જાતીના નામે મતો માગવાની અપીલ ન કરવામાં આવે એવા નિર્દેશ આપવામાં આવ્યા હોવા છતાં તેમણે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાનના ભાષણોમાં 421 વખત મંદિર-મસ્જિદના અને વિભાજનકારી મુદ્દાઓ પર વાત કરી હતી.
ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે મોદીએ તેમની છેલ્લા 15 દિવસના પ્રચારના ભાષણોમાં કૉંગ્રેસનું નામ 232 વખત લીધું હતું, તેમનું પોતાનું નામ 758 વખત લીધું હતું. તેઓ બેરોજગારી અંગે એકેય વખત બોલ્યા નહોતા.
ઈન્ડી ગઠબંધન સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે એવો વિશ્ર્વાસ વ્યક્ત કરાતં તેમણે કહ્યું હતું કે સર્વસમાવેશક અને રાષ્ટ્રવાદી સરકાર બનાવવામાં આવશે.
આ પણ વાંચો : મલ્લિકાર્જુન ખડગેએ PM મોદી પર કર્યા પ્રહાર, ‘વડાપ્રધાન ખુદને ભગવાનનો અવતાર ગણાવે છે’
અમને વિશ્ર્વાસ છે કે લોકોએ અમને ચોથી જૂને વૈકલ્પિક સરકાર બનાવવા માટે જનમત આપ્યો છે, એમ કૉંગ્રેસના નેતાએ કહ્યું હતું. આ સરકાર ફરીથી આવશે તો દેશમાં લોકશાહી ખતમ થઈ જશે એવા અમારા મુદ્દાને જનતાનું સમર્થન મળ્યું છે, એમ પણ તેઓ બોલ્યા હતા.
આખી દુનિયાને મહાત્મા ગાંધી અંગે વિદેશી ફિલ્મ બન્યા બાદ જાણકારી મળી હતી એવા વડા પ્રધાન મોદીના નિવેદનની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે જો વડા પ્રધાન મોદીને ગાંધી વિશેની જાણકારી નહીં હોય તો બંધારણ અંગેની જાણકારી પણ નહીં જ હોય. ગાંધીજીને આખી દુનિયા ઓળખે છે અને તેમની પ્રતિમાઓ આખી દુનિયામાં છે એમ પણ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)