આંધ્રપ્રદેશ અને ઓડિશામાં 12 મીએ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં શપથગ્રહણ સમારોહ : મુખ્યમંત્રીના નામો હજુ સિક્રેટ
![Swearing-in ceremony in presence of Prime Minister on 12th in Andhra Pradesh and Odisha: Chief Minister's names still secret](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/https___d1e00ek4ebabms.cloudfront.net_production_dae94449-0a9f-4c39-b351-fd70fad0109e.webp)
નવી દિલ્હી: ઓડિશાને વર્ષોથી પોતાનો ગઢ માનનારા નીતિન પટનાયકની પાર્ટીને કારમી હાર આપીને ભાજપે પહેલીવાર વિધાનસભા ચૂંટણી જીતી છે. આ સાથે જ પાર્ટીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ જીતી ગયું છે. હવે આ બંને રાજ્યોમાં 12 જૂને શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવશે. આ બંને રાજ્યોના શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનમોહન સામલે ઓડિશા સરકારના યોજાનાર શપથ ગ્રહણ સમારોહની માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન 12મી જૂને શપથગ્રહણ સમારોહ માટે ઓડિશા આવવાના છે. નવી સરકારનો આ શપથ ગ્રહણ સમારોહ ભુવનેશ્વરના જનતા મેદાનમાં સાંજે 5 વાગ્યે યોજાશે. રાજ્યમાં સીએમ પદના ચહેરા અંગે તેમણે કહ્યું કે મુખ્યમંત્રીનો ચહેરો પક્ષ નક્કી કરશે. ભાજપમાંથી કોઈ પણ મુખ્યમંત્રીની રેસમાં નથી.
આ પણ વાંચો : Modi 3.0 :નરેન્દ્ર મોદી સાથે 30 સાંસદો લઇ શકે છે મંત્રીપદના શપથ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા પ્રોટેમ સ્પીકર
ઓડિશાના નવા મુખ્યપ્રધાનના નામની પસંદગી માટે મંગળવારે બીજેપી વિધાયક દળની બેઠક મળવાની છે. 147 સભ્યોની ઓડિશા વિધાનસભામાં ભાજપે 78 બેઠકો જીતીને બહુમતી મેળવી છે. હવે ઓડિશામાં નવા સીએમ માટે તમામની નજર બ્રજરાજનગરના ધારાસભ્ય સુરેશ પૂજારી પર છે. ભાજપે ઓડિશાના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.
જો કે આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ ફરી એકવાર મુખ્યમંત્રી બને તેવી શક્યતા છે. જો કે ચંદ્રબાબુ નાયડુ આ પહેલા 1995 થી 2004 અને 2014 થી 2019 સુધી આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી પદે રહી ચુક્યા છે. વિધાનસભા ચૂંટણીમાં ટીડીપી, જનસેના અને ભાજપ ગઠબંધને 175માંથી 164 સીટો પર જીત મેળવી છે.