ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આ તારીખે પરત ફરશે ભારત: લાલ કિલ્લા પરથી PM મોદીએ કરી જાહેરાત…

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી 18 દિવસની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરીને આવનારા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા હવે સ્વદેશ પરત ફરવાના છીએ. જેની જાણકારી ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા પર્વના ભાષણમાં આપી હતી. શુભાંશુ શુક્લાની ઘરવાપસીનો દેશમાં ખુબ જ ઉત્સાહ છે.
તેમના પરિજનોએ જણાવ્યું હતું કે શુભાંશુ 17 ઓગષ્ટના દિલ્હી અને 25 ઓગષ્ટના રોજ લખનઉ આવી શકે છે. તે ઉપરાંત ૨૩ ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય અંતરીક્ષ દિવસ પર દેશવાસીઓ સાથે વાતચીત પણ કરી શકે છે.
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી આપી માહિતી
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, સ્પેસ સેક્ટરનો અદ્ભુત કમાલ આખો દેશ જોઈ રહ્યો છે અને ગર્વ પણ અનુભવી રહ્યો છે. આપણા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશન પરથી પરત ફરી ચૂક્યા છે અને આગામી કેટલાક દિવસોમાં તેઓ ભારત પણ આવી રહ્યા છે.
પીએમ મોદીએ અવકાશ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આપણે અવકાશમાં પણ પોતાના દમ પર, આત્મનિર્ભર ભારત અંતર્ગત ગગનયાનની તૈયારી કરી રહ્યા છીએ. આપણે આપણા પોતાના બળે સ્પેસ સ્ટેશન બનાવવાની દિશામાં પણ કામ કરી રહ્યા છીએ.
ભારતના સ્પેસ સ્ટેશન મિશનમાંથી પરત ફરેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની ઘરવાપસીથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે. શુભાંશુના પિતા શંભુ દયાલ શુક્લાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શુભાંશુ 17મી ઑગસ્ટે દિલ્હી પહોંચી રહ્યા છે અને 25મી ઑગસ્ટે લખનૌ આવી શકે છે. તેમણે કહ્યું કે, “અમે બધા અમારા પુત્રને મળવા માટે ખૂબ જ આતુર છીએ. છેલ્લીવાર અમારી મુલાકાત એપ્રિલ 2024માં થઈ હતી.”
શંભુ દયાલ શુક્લાએ મિશનની સફળતા પર ગર્વ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “શુભાંશુએ દેશનું ગૌરવ વધાર્યું છે. આ અમારા પરિવાર માટે સૌભાગ્યની વાત છે. આ માટે અમે બધા વડાપ્રધાન મોદીનો આભાર માનીએ છીએ.” તેમણે ઉમેર્યું કે, “બધાની દુઆઓથી તેમનું મિશન પૂર્ણ થયું.
જ્યારે મિશનમાં વિલંબ થઈ રહ્યો હતો, ત્યારે આખો દેશ ચિંતિત હતો. પરંતુ બધાના સહયોગ અને આશીર્વાદથી મિશન સફળ થયું, જેના માટે હું બધાનો આભારી છું. અમને આશા છે કે 2027માં ગગનયાન મિશન પણ આ જ રીતે સફળતાપૂર્વક પૂર્ણ થશે.”
આ પણ વાંચો…શુભાંશુ શુક્લા આ તરીખે ભારત આવશે; હાલ પોસ્ટ-મિશન પ્રક્રિયાઓમાંથી પસાર થઈ રહ્યા છે