
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારત વિશે ફેલાવેલા જૂઠ્ઠાણાનો પર્દાફાશ કરવા વિવિધ દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું. જેમાં વર્તમાન સાંસદ, પૂર્વ સાંસદ, પૂર્વ રાજદૂતો સામેલ હતા. આ પ્રતિનિધિમંડળ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુલાકાત કરી હતી.
પ્રતિનિધિમંડળે શેર કર્યા અનુભવ
આ પ્રતિનિધિમંડળે વડા પ્રધાન મોદી સાથે તેમના અનુભવ શેર કર્યા હતા અને ફીડબેક આપ્યો હતો. કેન્દ્ર સરકારે પહેલાથી જ સાત પ્રતિનિધિમંડળનું કામ વખાણ્યું હતું, જેમાં 50થી વધુ લોકો હતા. આ પૈકી મોટાભાગના સાંસદ હતા. પ્રતિનિધિમંડળે 33 વિદેશી રાજધાનીઓ તથા યુરોપીયન યુનિયનનો પ્રવાસ કર્યો હતો.
વિદેશ પ્રધાન એસ જયશંકર પહેલા જ આ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી ચુક્યા છે અને તેમના પ્રયાસની પ્રશંસા કરી હતી. બીજેપીના રવિશંકર પ્રસાદ અને બૈજયંત પાંડા, કોંગ્રેસના શશિ થરૂર, જેડી(યુ)ના સંજય ઝા, શિવસેનાા શ્રીકાંત શિંદે, ડીએમકેના કનિમોઝી અને એનસીપી (એસપી)ની સુપ્રિયા સુલેએ તેમના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરીને વિશ્વના અલગ અલગ દેશોમાં આતંકવાદ પર ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું.
શું હતો આ પ્રતિનિધિમંડળનો હેતુ
આ પ્રતિનિધિમંડળનો હેતુ આતંકવાદ સામે લડાઈમાં રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવાનો હતો. જેમાં કોંગ્રેસના શશિ થરૂર અને એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી જેવા નેતાઓએ સત્તારૂઢ ગઠબંધનના સભ્યો સાથે મળીને વિદેશમાં ભારતનો પક્ષ રાખ્યો હતો. આ પ્રતિનિધિમંડળમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુલામ નબી આઝાદ, સલમાન ખુર્શીદ જેવા પૂર્વ સાંસદ પણ સામેલ હતા.
આપણ વાંચો : એક રાષ્ટ્ર એક ચૂંટણીથી લઈ ઓપરેશન સિંદૂર, મોદી 3.0ના એક વર્ષની 7 સોનેરી સિદ્ધી