
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રથમ વાર કાશ્મીરની મુલાકાતે આવ્યા છે. વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ સાથે કાશ્મીર ખીણની મુલાકાતે છે. એનસી, પીડીપી, કોંગ્રેસ સહિત દરેક પક્ષોની નજર પીએમ મોદીની આ મુલાકાત પર છે. તો અહીંના સામાન્ય લોકો પણ તેમની દુનિયામાં સુખદ પરિવર્તન લાવનારા નેતાને મળવા માટે આતુર નયને વાટ જોઇ રહ્યા છે. પીએમ મોદી તેમના નિસ્વાર્થ ભાવથી કાશ્મીરને આતંકવાદથી આઝાદ કરીને લોકોના દિલોદિમાગ પર છવાઇ ગયા છે અને લોકો તેમના આ લોકલાડીલા નેતાને ણલવા માગે છે.
પીએમ મોદીની મુલાકાતના અવસરે શ્રીનગરના બક્ષી સ્ટેડિયમને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં સલામતીનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જેલમ નદીમાં માર્કોસ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. શ્રીનગરમાં આજે ડ્રોન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
પીએમના સમગ્ર રૂટને સુંદર રીતે શણગારવામાં આવ્યો છે. ખીણના વિવિધ વિસ્તારોમાંથી લોકોને લાવવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમમાં ફક્ત એવા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે જે ખાસ પાસ લઈને આવશે. રેલી સ્થળ બક્ષી સ્ટેડિયમ બહુસ્તરીય સુરક્ષા ઘેરા હેઠળ છે. રેલી દરમિયાન પીએમ મોદી 6400 કરોડ રૂપિયાની 52 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે.
રેલી દરમિયાન પીએમ મોદી કાશ્મીર અને કાશ્મીરની જનતાને વિકાસની ગાથાનો સંદેશ આપી શકે છે. કેન્દ્રની યોજનાઓનો લાભ લેવાથી ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના જીવનમાં સમૃદ્ધિ કેવી રીતે આવી તે વિશે જણાવી શકે છે. પીએમ મોદી કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરાવવાનું શ્રેય લઇ શકે છે.
તેમના સંબોધનમાં કાશ્મીરમાં શાંતિ, સર્વત્ર આનંદ, હડતાલનું કેલેન્ડર બંધ, શાળાઓ, કોલેજો અને દુકાનો નિયમિતપણે ખુલે છે, લોકોની આજીવિકા પર કોઈ નકારાત્મક અસર નથી, પથ્થરમારો બંધ થયો છે, પોલીસ સાથે અથડામણ પણ બંધ થઈ ગઈ છે, જે લોકો પત્થર ફેંકતા હતા તેઓ હવે લેપટોપ અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને માત્ર પોતાના પરિવારનું જ નહીં પરંતુ જમ્મુ-કાશ્મીરના વિકાસમાં પણ યોગદાન આપી રહ્યા છે…. વગેરે જેવા મુદ્દાઓ હોઇ શકે છે. બસ હવે માત્ર થોડી જ વાર છે અને પીએમ મોદી કાશ્મીર પધારશે.