નેશનલ

શુભાંશુ શુક્લાને PM Modiએ આપ્યું હોમવર્ક, ત્રણ ટાર્ગેટ પાર પાડવા માટે માંગી મદદ

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS) પર હાજર ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે ખાસ વાતચીત કરી હતી. આ સંવાદ દરમિયાન પીએમ મોદીએ શુક્લાને ભવિષ્ય માટે કેટલાક મોટા લક્ષ્યોનું ‘હોમવર્ક’ આપ્યું હતું. તેમણે કહ્યું કે, આપણે ગગનયાન મિશનને આગળ વધારવાનું છે. આપણે આપણું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાનું છે. સાથે જ ચંદ્ર પર ભારતીય અવકાશયાત્રીની લેન્ડિંગ પણ કરાવવાની છે. આ બધા અભિયાનોમાં તમારા અનુભવો ખૂબ કામ આવવાના છે. મને વિશ્વાસ છે કે તમે ત્યાં તમારા અનુભવોને ચોક્કસપણે રેકોર્ડ કરી રહ્યા હશો.” આ ઉપરાંત, તેમણે પૂછ્યું કે શું કોઈ એવો પ્રયોગ છે જે ભવિષ્યમાં કૃષિ કે આરોગ્ય ક્ષેત્રને ફાયદો પહોંચાડશે.

પીએમ મોદીના પ્રશ્નોના જવાબમાં શુભાંશુએ જણાવ્યું કે, “આ મિશનની ટ્રેનિંગ દરમિયાન મને જે શીખ મળી છે, હું તેને સ્પોન્જની જેમ શોષી રહ્યો છું. મને ખાતરી છે કે જ્યારે હું પાછો આવીશ, ત્યારે તે આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે. આપણે આપણા મિશનમાં આ અનુભવોને લાગુ કરી શકીશું અને વહેલામાં વહેલી તકે ઘણા મિશનોને પૂરા કરી શકીશું. હું મારી લર્નિંગને આપણા દેશના મિશનમાં લગાડીશ.”

ખાસ વૈજ્ઞાનિક પ્રયોગો પર ફોકસ
પ્રયોગો અંગેના સવાલ પર શુભાંશુ શુક્લાએ જણાવ્યું કે, પહેલીવાર ભારતીય વૈજ્ઞાનિકોએ ૭ અનન્ય પ્રયોગો ડિઝાઇન કર્યા છે, જેને હું મારી સાથે સ્પેસ સ્ટેશન પર લઈને આવ્યો છું. હું જે પહેલો પ્રયોગ કરવાનો છું તે સ્ટેમ સેલ્સ પર આધારિત છે. હકીકતમાં અંતરીક્ષમાં ગુરુત્વાકર્ષણ પૂર્ણ થતા સ્નાયુઓનું નુકસાન થાય છે. હું તેના પર પ્રયોગ કરી રહ્યો છું કે શું કોઈ સપ્લિમેન્ટ આપીને આપણે આ મસલ લોસને રોકી શકીએ છીએ કે ધીમો પાડી શકીએ છીએ. તેનો સીધો ઉપયોગ પૃથ્વી પર કરી શકાય તેમ છે અને ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં જે લોકોમાં સ્નાયુઓનું નુકસાન થાય છે, તેમના પર આ સપ્લિમેન્ટ્સનો ઉપયોગ થઈ શકે છે.

ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં થશે લાભ
તેમણે વધુમાં જણાવ્યું કે, બીજો પ્રયોગ માઇક્રોએલ્ગીના વિકાસ પર છે. આ ખૂબ નાના હોય છે પરંતુ તેમાં ઘણા પોષક તત્વો હોય છે. જો આપણે એવી પ્રક્રિયા શોધી શકીએ કે જેનાથી આપણે તેમને મોટી માત્રામાં ઉગાડી શકીએ, તો તે પૃથ્વી પર ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં ખૂબ ફાયદાકારક સાબિત થશે. અવકાશનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીં આખી પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે, તેથી આપણને મહિનાઓ કે વર્ષો સુધી રાહ જોવાની જરૂર નથી.

ગગનયાન મિશનની સફળતાનું પ્રથમ અધ્યાય
પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, “આજે હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે આ ગગનયાન મિશનની સફળતાનો પહેલો અધ્યાય છે. તમારી આ ઐતિહાસિક યાત્રા ફક્ત અવકાશ સુધી જ સીમિત નથી, પરંતુ તે આપણા વિકસિત ભારતની યાત્રાને ઝડપી ગતિ અને નવી મજબૂતી આપશે. ભારત દુનિયા માટે અવકાશની નવી સંભાવનાઓના દ્વાર ખોલવા જઈ રહ્યું છે. હવે ભારત ફક્ત ઉડાન નહીં ભરે, પરંતુ ભવિષ્યમાં નવી ઉડાનો માટે મંચ તૈયાર કરશે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button