પીએમ મોદીએ મણિપુર હિંસા પર દુ:ખ વ્યક્ત કર્યું, કહ્યું શાંતિનો માર્ગ અપનાવો

ચુરાચાંદપુર :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2023માં થયેલી હિંસા બાદ આજે પ્રથમ વખત મણિપુરની મુલાકાત લીધી છે. પીએમ મોદી સીધા કુકી સમુદાયના ગઢ ચુરાચાંદપુર પહોંચ્યા હતા. જયા તેમણે સંબોધન દરમિયાન મણિપુર હિંસા, કનેક્ટિવિટીની સમસ્યા અને વિકાસના મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે દેશ મણિપુરની સાથે છે. તેમણે હિંસા પર દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે લોકોએ શાંતિના માર્ગ પર આગળ વધવું જોઈએ.
મણિપુરના જુસ્સાને સલામ
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, મણિપુરના જુસ્સાને સલામ. તમારા પ્રેમને હું ક્યારેય નહી ભૂલી શકું. મણિપુર એ મણિ છે જેને સમગ્ર નોર્થ- ઇસ્ટની ચમક વધારી છે. તેમજ દુ:ખની બાબત છે કે હિંસાએ આ વિસ્તારને પોતાની ચપેટમાં લઈ લીધો હતો. કુકી અને મેતઈ સમુદાય વચ્ચે વાતચીત શરુ કરવામાં આવી છે. લોકો શાંતિનો રસ્તો અપનાવી રહ્યા છે. દાયકાઓથી ચાલી રહેલા વિવાદ સમાપ્ત થઈ રહ્યા છે. હું અપીલ કરું છું કે શાંતિના માર્ગ પર આગળ વધો.
અસરગ્રસ્તો માટે 500 કરોડ રૂપિયાની વ્યવસ્થા
તેમણે મણિપુરના લોકોને આશ્વાસન આપ્યું કે કેન્દ્ર સરકાર તેમની સાથે છે. તમારી મુશ્કેલીઓ દુર કરવાનો પ્રયાસ કરીશ. હું મણિપુરને વિકાસને ગતિ આપવા માટે કાર્યરત છું. તેમજ હિંસામાં અસરગ્રસ્તો માટે 500 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.
7 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ
પીએમ મોદીએ કહ્યું કે ભારત સરકાર મણિપુરને વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આજે લગભગ 7 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્સ મણિપુરના લોકો અને પહાડોમાં વસત આદિવાસી સમાજનું જીવન વધુ સારું બનાવશે.
કેન્દ્ર સરકારે કનેક્ટિવિટીની સમસ્યાઓ દુર કરી
આ ઉપરાંત પીએમ મોદીએ જણાવ્યું કે, મણિપુરમાં હંમેશા કનેક્ટિવિટીની સમસ્યાઓ રહી છે. કેન્દ્ર સરકારે મણિપુરના કનેક્ટિવિટી માટે બે સ્તરો પર કામ કર્યું છે. રેલવે અને રોડ માટેનું બજેટ અનેકગણું વધારવામાં આવ્યું છે. શહેરો ઉપરાંત, મણિપુરના ગામડાઓમાં પણ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો…નેપાળમાં સુશીલા કાર્કીએ વચગાળાના પીએમ તરીકે શપથ લીધા, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી…