PM મોદીએ CM નીતીશકુમારને પાઠવ્યા અભિનંદન, બિહારની જનતાને મોદીએ પોતાનો પરિવાર ગણાવ્યો | મુંબઈ સમાચાર

PM મોદીએ CM નીતીશકુમારને પાઠવ્યા અભિનંદન, બિહારની જનતાને મોદીએ પોતાનો પરિવાર ગણાવ્યો

પટણા: બિહારમાં ‘ઓપરેશન લોટસ’ સફળ થયા બાદ રાજકીય પક્ષોથી વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. વારંવાર પોતાનું સ્થાન બદલનારા નીતીશ કુમારની સ્થિરતાને લઈને પણ રાજકીય લોકોએ ટોણાં માર્યા છે. ભૂતકાળમાં નીતીશે પણ PM મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેવામાં નીતીશ કુમારના CM પદના શપથ ગ્રહણ બાદ વડાપ્રધાન મોદીનું પ્રથમ રિએક્શન આવ્યું છે.

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર કહ્યું કે બિહારમાં બનેલી NDA સરકાર રાજ્યના વિકાસ અને તેના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કોઈ કસર છોડશે નહીં. તેમણે કહ્યું કે હું નીતિશ કુમારને મુખ્યમંત્રી તરીકે, સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે આ ટીમ રાજ્યના મારા પરિવારના સભ્યોની સંપૂર્ણ સમર્પણ સાથે સેવા કરશે.

આપને જણાવી દઈએ કે નીતીશ કુમાર સાથે આ નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા છે. જેમાં JDU ના બિજેન્દ્ર પ્રસાદ યાદવ, વિજય કુમાર ચૌધરી, BJP ના ડૉ. પ્રેમ કુમાર, JDU ના શ્રવણ કુમાર, હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર) ના પ્રમુખ ડૉ. સંતોષ કુમાર સુમન અને અપક્ષ ધારાસભ્ય સુમિત કુમાર સિંહ.

આ અગાઉ પૂર્વ નાયબ પ્રધાન અને RJD નેતા તેજસ્વી યાદવે નીતીશ કુમારની સ્થિરતા પર નિવેદન આપ્યું હતું કે ‘અત્યારે ભલે શપથ લઈ લે પરંતુ આ ગઠબંધન કેટલો સમય ટકશે તે નક્કી નથી, ખેલ તો હજુ શરૂ થયો છે.’

સંબંધિત લેખો

Back to top button