
નવી દિલ્હીઃ ઇઝરાયલની રાજધાની જેરુસલેમમાં સોમવારે આતંકવાદી હુમલો થયો હતો. આ આતંકવાદી હુમલામાં 4 લોકો માર્યા ગયા હતા અને 20 ઘાયલ થયા હતા. બે બંદૂકધારીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરી છે અને જેરુસલેમમાં નિર્દોષ નાગરિકો પર થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની ઘટનાને સખત શબ્દોમાં નિંદા કરી હોવાનું જાણવા મળ્યું છે.
જઘન્ય આતંકવાદી હુમલાની અમે સખત નિંદા કરીએ છીએઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, જેરુસલેમમાં નિર્દોષ નાગરિકો પર થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની અમે સખત નિંદા કરીએ છીએ. અમે પીડિતોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. ભારત આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની નિંદા કરે છે અને આતંકવાદ પ્રત્યે તેની શૂન્ય સહિષ્ણુતા નીતિ પર અડગ છે’.
આતંકવાદી હુમલામાં 20 ઇઝરાયલી નાગરિકો ઘાયલ થયા
નોંધનીય છે કે, ભારત અને ઇઝરાયલના સંબંધો વર્ષોથી ખૂબ જ સારા રહ્યાં છે. બંને દેશો વિકટ પરિસ્થિતિમાં એકબીજા સાથે ઊભા રહ્યાં છે. ઇઝરાયલ દ્વારા ગેરકાયદેસર રીતે કબજા હેઠળના જેરુસલેમ શહેરમાં બે બંદૂકધારીઓએ ઇઝરાયલી નાગરિકો પર ભીષણ હુમલો કર્યો હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 20 ઇઝરાયલી નાગરિકો ઘાયલ થયા છે, જેમાંથી 6 ની હાલત ગંભીર છે. ઇઝરાયલના કટ્ટરપંથી નેતા અને રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇટામાર બેન-ગ્વીર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પશ્ચિમ જેરુસલેમમાં કેટલીક ગેરકાયદેસર ઇઝરાયલી વસાહતો આગામી સૂચના સુધી બંધ રહેશે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.