સંસદનું ચોમાસુ સત્ર: મોદી સરકારને ઘેરવા કોંગ્રેસની રણનીતિ શું હશે? સોનિયા ગાંધીએ બેઠક બોલાવી…

નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરુ થશે, જે 21 ઓગસ્ટ સુધી ચાલશે. આ સત્ર દરમિયાન વિપક્ષ કેન્દ્ર સરકારને વિવિધ મુદ્દે ઘેરવાનો પ્રયાસ (Parliament Monsoon Session) કરશે. ચોમાસુ સત્ર દરમિયાન પાર્ટીની રણનીતિ નક્કી કરવા કોંગ્રેસના સંસદીય દળના નેતા સોનિયા(Sonia Gandhi)એ 15 જુલાઈએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. તેમના નિવાસસ્થાન 10 જનપથ ખાતે આ બેઠક યોજાશે. આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે અને વિવિધ મુદ્દે ચર્ચા કરશે.
બિહારમાં ચાલી રહેલા મતદાર યાદીમાં સુધારા મામલે વિપક્ષ આક્રમક વલણ અપનાવે તેવી શક્યતા છે. અહેવાલ મુજબ ચોમાસું સત્ર દરમિયાન ગૃહમાં ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે, જેમાં પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ખાનગી રોકાણને મંજૂરી આપતા બીલનો પણ સમાવેશ થાય. કોંગ્રેસ અને અન્ય વિપક્ષના અન્ય પક્ષો આ મુદ્દે સરકારનો જોરદાર વિરોધ કરે તેવી શકયતા છે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યાર બાદ ભારતીય સશસ્ત્ર દળોએ કરેલા ‘ઓપરેશન સિંદૂર’ અંગે ચર્ચા કરવા વિપક્ષ સંસદના વિશેષની માંગ કરી રહ્યું હતું, કેન્દ્ર સરકારે આ માંગ ફગાવી દીધી હતી. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રીજુજુએ અગાઉ જાહેરાત કરી હતી કે ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે અને 12 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. પરંતુ ત્યાર બાદ સત્રને એક અઠવાડિયા માટે લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી, હવે આ સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે.
સોનિયા ગાંધીએ બોલાવેલી બેઠકમાં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે. કોંગ્રેસની તૈયારીઓ જોતાં એવું લાગે છે કે સંસદનું ચોમાસુ સત્ર પણ તોફાની રહેશે.
આ પણ વાંચો…મારા પરિવારનું ધ્યાન રાખજોઃ Sonia Gandhiએ કોને લખ્યો ભાવુક પત્ર ને કરી આવી અપીલ