હવે રૉની જવાબદારી પંજાબ કેડરના ઓફિસર પરાગ જૈન સંભાળશે…

નવી દિલ્હીઃ ફિલ્મોમાં રૉ એજન્ટ તરીકે કે રૉના બૉસ તરીકે કામ કરતા ઘણા અભિનેતાને તમે જોયા હશે. ભારત પર આવતા કોઈપણ વિદેશી આક્રમણ કે તેની કોઈપણ જાતની ગતિવિધિ પર ધ્યાન રાખવાનું કામ રૉ દ્વારા કરવામાં આવે છે. રિસર્ચ એનાલિસિસ વિંગ (આરએડબલ્યુ)ના નામે ઓળખાતી આ એજન્સીને સોમવારથી નવા બૉસ મળી રહ્યા છે. વર્ષ 1989ના પંજાબ કેડરના આઈપીએસ પરાગ જૈન હવે આ જવાબદારી સંભાળશે. રૉના બૉસ તરીકેનો તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે.
અગાઉ રવિ સિન્હા આ પદ પર હતા. 30મી જૂને તેઓ પદ છોડશે ત્યારબાદ ભારતની રૉનું નેતૃત્વ જૈન કરશે. અગાઉ જૈન એવિયેશન રિસર્ચ સેન્ટરનું નેતૃત્વ કરતા હતા.
તાજેતરમાં જ ભારતે પાકિસ્તાની આતંકવાદીઓને કડક જવાબ આપવા ઑપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. પરાગ જૈન પાકિસ્તાની ગતિવિધિઓની ઊંડી સમજ ધરાવે છે. જમ્મુ-કાશ્મીર જેવા સંવેદશનશીલ વિસ્તારમાં પોસ્ટ કર્યા છે અને પાકિસ્તાન સામે મોરચો સંભાળવામાં તેમની ભૂમિકા મહત્વની રહી છે. તેઓ પંજાબના એસએસપી રહી ચૂક્યા છે અને કેનેડા તેમ જ શ્રીલંકામાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. રૉની સ્થાપના 1968માં કરવામાં આવી હતી. રૉના પ્રભારી ખુદ વડા પ્રધાન હોય છે અને રૉ ચીફ પોતાનો દૈનિક અહેવાલ નેશનલ સિક્યોરિટી ચિફને આપે છે.