નેશનલ

Assembly Election Special: પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓએ પહેલી વાર કર્યું મતદાન

50 વર્ષીય મહિલાએ પોતાના જીવનમાં પ્રથમવાર પોતાનો મત આપ્યો

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. દિલ્હીના મજનૂ કા ટીલામાં એક મતદાન મથક પર રેશ્માએ ગર્વની લાગણી સાથે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનું બટન દબાવ્યું અને તેના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું હતું. 50 વર્ષીય મહિલાએ પોતાના જીવનમાં પ્રથમવાર પોતાનો મત આપ્યો હતો. તેમણે ફક્ત ઉમેદવાર પસંદ કરવા માટે નહીં પરંતુ તેના પરિવારના ભવિષ્ય માટે મતદાન કર્યું હતું.

રેશમા એ 186 પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓમાંના એક છે જેમણે અનેક વર્ષોની અનિશ્વિતતા બાદ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ તમામ પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા (સુધારા) કાયદા હેઠળ ભારતની નાગરિકતા મળી હતી.

પાકિસ્તાની હિન્દુ શરણાર્થી સમુદાયના પ્રમુખ ધર્મવીર સોલંકીએ આશા વ્યક્ત કરી કે તેમના સંઘર્ષ ઓછા થશે. તેમણે કહ્યું હતું કે “હવે આપણે સતત અમારું સ્થાન બદલવું પડશે નહીં. આખરે અમને કાયમી ઘર અને આજીવિકાનું સ્થિર સાધન મળશે.

આપણ વાંચો: દિલ્હી વિધાનસભાની ચૂંટણીઃ એક્ઝિટ પોલ કોને જીતાડે છે, જાણો કોની બનશે સરકાર?

સોલંકીએ કહ્યું હતું કે અમારા સમુદાયના લોકો એટલા ઉત્સાહિત હતા કે તેઓ મજનુ કા ટીલામાં મતદાન કેન્દ્ર બહાર લાઇનમાં ઉભા રહી ગયા હતા. ચંદ્રમાએ ભાવુક થતા કહ્યું હતું કે “હું અહીં 17 વર્ષથી રહું છું પરંતુ આજે પહેલી વાર મને વાસ્તવમાં એવું લાગી રહ્યું છે કે હું હિન્દુસ્તાનનો ભાગ છું. લાંબા સંઘર્ષ પછી હવે મને આશા છે કે મારા બાળકોને સારું જીવન મળશે.

દાયકાઓથી હજારો પાકિસ્તાની હિન્દુઓએ ધાર્મિક ઉત્પીડનથી ભાગીને ભારતમાં આશ્રય મેળવ્યો હતો. ઘણા લોકો દિલ્હીના મજનુ કા ટીલામાં સ્થાયી થયા છે, કામચલાઉ આશ્રયસ્થાનોમાં રહે છે અને દૈનિક મજૂરી કરે છે.

આપણ વાંચો: દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા ઉમેદવારનો અકસ્માત; કાર્યાલયમાં ઘૂસી ગઈ કાર…

27 વર્ષીય યશોદા તેમના જૂથમાં ભારતીય નાગરિકત્વ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતી અને તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની તક પણ મળી હતી. આજે મતદાન મથક પર કતારમાં ઉભા રહીને તેણીએ કહ્યું હતું કે “અમે દૈનિક મજૂર તરીકે કામ કરીને અનેક વર્ષો ગુજાર્યા, જીવિત રહેવા માટે સંઘર્ષ કર્યો. જ્યારે હવે અમારી પાસે ભારતીય નાગરિકતા છે, ત્યારે અમે યોગ્ય નોકરીઓ, ઘરો અને ગૌરવપૂર્ણ જીવનની આશા રાખીએ છીએ.

નોંધનીય છે કે ગયા વર્ષે 11 માર્ચે કેન્દ્ર સરકારે નાગરિકતા (સુધારા) અધિનિયમ, 2019 લાગુ થયાની જાહેરાત કરી હતી, જેનાથી 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતમાં આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના દસ્તાવેજ વિનાના મુસ્લિમ ન હોય તેવા પ્રવાસીઓને ભારતીય નાગરિકત્વ મેળવવાનો માર્ગ મોકળો થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button