ઇન્ટરનેશનલનેશનલ

પાકિસ્તાન પાણી માટે તરસે છે: ભારતના કડક વલણ બાદ જળસ્તર ઘટ્યા, પાક પર સંકટ

ઇસ્લામાબાદ: પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે સરહદ પારના આતંકવાદ સામે લડત આપવા માટે ઘણા મોટા પગલાં ભર્યા હતા. ભારતે સિંધુ જળ સમજૂતી (Indus Waters Treaty) સ્થગિત કર્યા પછી પાકિસ્તાન પાણીની એક-એક બુંદ માટે તરસતું જોવા મળી રહ્યું છે. સિંધુ બેસિનમાં પાણીનો પ્રવાહ ઝડપથી ઘટી રહ્યો છે, જેના કારણે પાકિસ્તાન ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે.

એક સમાચાર સંસ્થા દ્વારા અધિકૃત પાકિસ્તાની આંકડાઓને ટાંકીને કરાયેલા અહેવાલ મુજબ, પાકિસ્તાનના મુખ્ય બંધોમાંથી પાણી છોડવામાં ગયા વર્ષની સરખામણીમાં 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ગંભીર ઘટાડાને કારણે મુખ્ય જળાશયો તેમના મૃત સંગ્રહ સ્તરની નજીક પહોંચી ગયા છે, જે મહત્વપૂર્ણ ખરીફ પાકના વાવેતર પહેલાં ચિંતાનો વિષય બન્યો છે.

5 જૂનના રોજ પાકિસ્તાનના પંજાબમાં કુલ 1.24 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જે ગયા વર્ષે આ જ તારીખે નોંધાયેલા 1.44 લાખ ક્યુસેકની સરખામણીમાં ઓછું છે. ખૈબર પખ્તુનખ્વાના તરબેલા બંધમાં જળસ્તર 1465 મીટર પર હતું, જે તેના 1402 મીટરના મૃત સ્તરથી સહેજ ઉપર હતું.

પાકિસ્તાનના પંજાબમાં સિંધુ નદી પર આવેલો ચશ્મા બંધ 644 મીટર પર હતો, જે તેના 638 મીટરના મૃત સ્તરની નજીક હતો. મીરપુરમાં જેલમ નદી પરના મંગલા બંધમાં જળસ્તર 1163 મીટર પર ઘટી ગયું હતું, જે તેની 1050 મીટરની મર્યાદાની નજીક છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સિયાલકોટના મારાલામાં સ્થિતિ ખાસ કરીને ગંભીર છે, જ્યાં ચિનાબ નદીનો પ્રવાહ 28મેના 26,645 ક્યુસેકથી નાટકીય રીતે ઘટીને 5 જૂન સુધીમાં માત્ર ૩,૦૬૪ ક્યુસેક રહી ગયો છે.

આ પણ વાંચો -‏‏‎ મોદી સરકારના 11 વર્ષ થયા પૂર્ણઃ પડકારો છતાં વધુ મજબૂત થઈ સરકાર

ખરીફની શરૂઆતના ગાળામાં જ 21 ટકા પાણીની અછત
અન્ય ન્યૂઝ ચેનલના અહેવાલ અનુસાર, પાકિસ્તાનમાં પરિસ્થિતિ સ્પષ્ટપણે ગંભીર છે, ખાસ કરીને જૂનથી સપ્ટેમ્બર સુધીના ખરીફ સિઝન માટે. પાકિસ્તાનમાં હવે ખરીફની શરૂઆતની અવધિ દરમિયાન 21 ટકા પાણીની અછતનો અંદાજ છે. આનાથી દેશના ખાદ્ય ભંડાર અને પંજાબમાં કૃષિ ઉત્પાદન પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.

સિંધુ જળ સમજૂતી મુદ્દે પાકિસ્તાન ભીંસમાં
ઉલ્લેખનીય છે કે જ્યારથી ભારતે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરી છે, ત્યારથી પાકિસ્તાન ભીંસમાં આવી ગયું છે અને આ મુદ્દા પર પુનર્વિચાર કરવા માટે ભારતને ઘણી વખત પત્ર લખ્યા છે. તાજેતરમાં મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે પાકિસ્તાનના જળ સંસાધન સચિવ સૈયદ અલી મુર્તઝાએ ભારતના જલ શક્તિ મંત્રાલયને 4 વાર પત્ર લખ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button