
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ છે. પાકિસ્તાનમાં એક તરફ બલૂચિસ્તાનમાં આઝાદી માટે લડત ચલાવવામાં આવી રહી છે. ત્યારે દેશનિકાલ કરાયેલા પાકિસ્તાની નેતા અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટના સ્થાપક અલ્તાફ હુસૈને પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મુહાજિર સમુદાયને મદદ માટે અપીલ કરી છે. અલ્તાફ હુસૈને લંડનમાં એક કાર્યક્રમ દરમિયાન ઉર્દૂભાષી શરણાર્થીઓ એટલે કે ભાગલા બાદ ભારતથી આવીને પાકિસ્તાનમાં સ્થાયી થયેલા મુહાજિરો પરના અત્યાચારનો મુદ્દો આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ઉઠાવવા અપીલ કરી છે.
મુહાજિરો પર અત્યાચાર અને ભેદભાવ
અલ્તાફ હુસૈને અકે નિવેદનમાં બલૂચ લોકોને ટેકો આપવા બદલ પીએમ મોદીની પ્રશંસા કરી અને તેને એક હિંમતવાન અને નૈતિક રીતે પ્રશંસનીય પગલું ગણાવ્યું. તેમણે પીએમ મોદીને વિનંતી કરી કે તેઓ મુહાજિર સમુદાય ને પણ સમર્થન આપે. અલ્તાફ હુસૈને કહ્યું કે દાયકાઓથી મુહાજિરો પર અત્યાચાર અને ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. જે સંપૂર્ણપણે સ્ટેટ સ્પોનસર છે.
25,000 થી વધુ મુહાજિરો માર્યા ગયા
તેમણે કહ્યું કે ભારતના ભાગલા પછી પાકિસ્તાની લશ્કરી સંસ્થાએ ક્યારેય મુહાજિરોને દેશના કાયદેસર નાગરિક તરીકે સંપૂર્ણપણે સ્વીકાર્યા નથી. મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ સતત આ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના અધિકારોની હિમાયત કરી રહ્યું છે. પરંતુ લશ્કરી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 25,000 થી વધુ મુહાજિરો માર્યા ગયા છે અને હજારો ગાયબ થઈ ગયા છે.

મુહાજિરોનો અવાજ દબાવવામાં આવે છે
અલ્તાફ હુસૈન કહે છે કે હ્યુસ્ટન યુએસએમાં પાકિસ્તાની કોન્સ્યુલ જનરલ આફતાબ ચૌધરીએ કાર્યક્રમ દરમિયાન એક વીડિયો રજૂ કર્યો હતો. જેમાં અલ્તાફ અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટને ભારતના એજન્ટ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે આવા આરોપો લગાવીને મુહાજિરોનો અવાજ દબાવવામાં આવે છે. પાકિસ્તાનમાં મુહાજિરોને લાચાર છોડી દેવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુહાજિરોનો અવાજ ઉઠાવવો જોઈએ અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ આ સમુદાયના લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું જોઈએ.
આપણ વાંચો : પાકિસ્તાનના આર્મી ચીફની ફરી ઠેકડી ઉડી! શેહબાઝ શરીફને આવો ફોટો ભેટ આપતા થયા ટ્રોલ