ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો ફેઈલ જશે! 50% થી વધુ ભારતીય EV માલિકો અસંતુષ્ટ

નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોથી ઇલેક્ટ્રિક વાહનો(Electric vehicles)ના વેચાણમાં સતત વધારો થઇ રહ્યો છે, ભારત સરકાર અને વિવિધ રાજ્યોની સરકાર ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને સતત પ્રોત્સાહન આપી રહી છે. કેન્દ્રના વાહનવ્યવહાર પ્રધાન નીતિન ગડકરી (Nitin Gadkari) અગાઉ કહી ચુક્યા છે કે 2034 સુધીમાં પેટ્રોલ-ડીઝલ વાહનોનું વેચાણ બંધ કરવું લક્ષ્ય છે. એવામાં એક સર્વેમાં ચોંકાવનાર ખુલાસા થયા છે, સર્વે મુજબ EVs ખરીદનારા 50 ટકા લોકો ફરીથી પેટ્રોલ-ડિઝલ વાહનો તરફ વળવા ઈચ્છે છે.
Park+ એ તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેના આધારે એક અહેવાલ બહાર પાડ્યો છે, સર્વેમાં ભારતમાં ઇલેક્ટ્રિક વાહન માલિકોના અનુભવો જાણીને તારણો જાહેર કરવામાં આવ્યા છે. સર્વેમાં દિલ્હી NCR, મુંબઈ અને બેંગ્લોરમાં 500 EV કાર માલિકોના પ્રતિભાવો લેવામાં આવ્યા છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA)ના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ભારતમાં લગભગ 91,000 ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું.
સર્વે રીપોર્ટ મુજબ 88 ટકા EV માલિકોએ ચાર્જિંગની સુવિધા અંગે ચિંતાને વ્યક્ત કરી હતી, ચાર્જિંગની સુવિધાના અભાવે ઘણા લોકો તેમની મુસાફરીને 50 કિમી સુધી માર્યાદિત કરી દે છે.
વધુમાં, 73 ટકા લોકોએ મેન્ટેનન્સ ખર્ચ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ઘણા EV માલિકોને મેન્ટેનન્સ મુખ્ય સમસ્યા લાગી રહી છે, કારણને સ્થાનિક મિકેનિક્સ EVsને રીપેર કરવા સક્ષમ નથી. આ ઉપરાંત, 33 ટકા લોકોએ EVsની રીસેલ વેલ્યુમાં નોંધપાત્ર ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બેટરીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટેના ઇન્ડેક્સનો પણ હાલમાં સ્પષ્ટ નથી. બેટરીનીં કિંમત EVના મૂલ્યના 30 ટકા જેટલી જ હોય છે, તેની સાચી કિંમતનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે.
સરેરાશ, EV માલિકો પેટ્રોલ-ડિઝલ વાહન માલિકોની સરખામણીમાં ઓછા સંતુષ્ટ છે, મુખ્યત્વે રોજિંદી મુશ્કેલીઓને કારણે. સર્વેક્ષણ કરાયેલા 51 ટકા EV માલિકોએ તેમની આગામી ખરીદી માટે ICE વાહનો પસંદ કારની ઈચ્છા વ્યક્ત કરી હતી.