ભોપાલ બાલિકા ગૃહમાંથી ગુમ થયેલી 26 છોકરીઓમાંથી 12 છોકરીઓ અહીથી મળી આવી અને બાકી હજી પણ ગુમ…
![Out of 26 girls who went missing from Bhopal Balika Griha, 12 girls were found here and the rest are still missing.](https://bombaysamachar.com/wp-content/uploads/2024/01/Jignesh-J-Pathak-2024-01-06T194051.660.jpg)
ભોપાલ: ભોપાલમાં પરવાનગી વિના ચાલતા કન્યા ગૃહમાંથી છોકરીઓના ગુમ થવાની ઘટના વિશે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના અધ્યક્ષ પ્રિયંક કાનુનગોએ એફઆઈઆર નોંધાવી હતી. આ તમામ કન્યાઓ જે કન્યા ગૃહમાં રહેતી હતી ત્યાંથી કેવી રીતે ગાયબ થઈ ગઈ તે વિશે તેમની સંભાળ રાખનાર વોર્ડન પણ જવાબ નહોતા આપી શક્યા.
ત્યારે આ ઘટના બાદ સિંવરાજ સિંહ ચૌહાણે પણ પોલીસને તરત એક્શન લેવા જણાવ્યું હતું. ત્યારે આ ગુમ થયેલી કન્યાઓ વિશે એવી માહિતી મળી છે કે ગુમ થયેલી 26 છોકરીઓમાંથી 12 છોકરીઓ પોત પોતાના ઘરોમાંથી મળી આવી છે. તેમજ અન્ય યુવતીઓ અંગે પણ પોલીસ તપાસ ચાલી રહી છે. તેમજ બે અધિકારીઓને બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ અન્ય બે અધિકારીઓને કારણ બતાવો નોટિસ પણ ફટકારવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બેદરકારી બદલ CDPO બ્રિજેન્દ્ર પ્રતાપ સિંહ અને CDPO કોમલ ઉપાધ્યાયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ મહિલા બાળ વિકાસ અધિકારી સુનિલ સોલંકી અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર મહિલા બાળ વિકાસ રામગોપાલ યાદવને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના અધ્યક્ષ પ્રિયંક કાનુનગોએ ભોપાલના બહારના વિસ્તાર પરવળિયામાં ચાલતી આંચલ ગર્લ્સ હોસ્ટેલની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન જ્યારે તેમણે રજિસ્ટર તપાસ્યું ત્યારે તેમણે જોયું કે તેમાં 68 છોકરીઓની એન્ટ્રી હતી પરંતુ તેમાંથી 26 ગાયબ હતી. આ યુવતીઓ ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના સિહોર, રાયસેન, છિંદવાડા, બાલાઘાટની રહેવાસી હતી. પોલીસે પરવાનગી વગર ગર્લ્સ હોમ ચલાવવાના મામલામાં એફઆઈઆર નોંધી હતી.
એફઆઈઆર મુજબ છોકરીઓ માટે ચલાવવામાં આવતા આ બાળ ગૃહમાં ઘણી ગેરરીતિઓ પણ જોવા મળી હતી. આ માહિતી પ્રિયંક કાનુનગોએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમજ આ ઘટના બાબતે પ્રિયંક કાનુનગોએ મુખ્ય સચિવ વીરા રાણાને પણ પત્ર લખીને સાત દિવસમાં તપાસ રિપોર્ટ માંગ્યો હતો. પરવળિયા પોલીસ સ્ટેશને પણ આ મામલે FIR નોંધી છે.
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના અધ્યક્ષ પ્રિયંક કાનુનગોએ લખ્યું હતું કે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રાજ્ય બાળ આયોગના અધ્યક્ષ અને અને સભ્યો સાથે એક મિશનરી દ્વારા સંચાલિત ગેરકાયદેસર ચિલ્ડ્રન હોમનું નિરીક્ષણ કર્યું હતું. અહી સરકારની જાણ વગર ઘણી બાળકીઓને રેસ્ક્યુ કરીને લાયસન્સ વગરના કન્યા ગૃહમાં લાવવામાં આવે છે. અને અહી છુપી રીતે કન્યા ગૃહ ચલાવવામાં આવી રહ્યું છે. જ્યાં 6થી 18 વર્ષની છોકરીઓની સંખ્યા વધારે છે અને મોટાભાદની તમામ છોકરીઓ હિન્દુ છે પણ તેમને ખ્રિસ્તી ધર્મ પળાવવા માટે બળજબરી કરવામાં આવે છે.