રાજસ્થાનમાં ગુમ થયેલા 25 વાઘમાંથી આટલા વાઘને શોધી કઢાયા

જયપુર: રાજસ્થાનના રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન (Ranthambore National Park)માં 25 વાઘ ગુમ થયા હોવાના અહેવાલ પ્રકશિત થતા હોબાળો મચી ગયો હતો. અધિકારીઓએ વાઘની શોધ ચલાવી રહ્યા છે, એવામાં અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમાંથી 10 વાધને પહેલેથી જ શોધી કાઢવામાં આવ્યા છે.
રાજસ્થાનના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડને સોમવારે કહ્યું હતું કે રાજ્યની રાજધાની જયપુરથી લગભગ 130 કિમી દૂર આવેલા નેશનલ પાર્ક માંથી 75 વાઘમાંથી 25 વાઘ ગયા વર્ષે ગુમ થયા હતાં. એક વર્ષમાં આટલી મોટી સંખ્યામાં વાઘ ગુમ થયાની આ પ્રથમ ઘટના છે. અગાઉ, 2019 અને 2022 ની વચ્ચે રણથંભોરમાંથી 13 વાઘ ગુમ થયાની જાણ કરવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું કે “આ અહેવાલ જાહેર થયાના 24 કલાકમાં દસ વાઘને શોધી કાઢવામાં આવ્યા હતાં. આ વર્ષે લાંબા ચાલેલા ચોમાસા પછી, વન વિભાગે તાજેતરમાં ફરીથી કેમેરા ટ્રેપ શરૂ કરી અને વાઘની શોધ શરુ કરી છે.”
વાઘ ગાયબ થવાની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે, જે મોનિટરિંગ રેકોર્ડની સમીક્ષા કરશે અને જો અધિકારીઓ દ્વારા કોઈ ક્ષતિ જણાય તો પગલાં લેવાની ભલામણ કરશે. આવશે. આ વર્ષના મે મહિનાથી ગુમ થયેલા વાઘને શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
કમિટીને બે મહિનામાં પોતાનો રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે.
નેશનલ પાર્કના અધિકારીઓએ જણાવ્યું છે કે રણથંભોરમાં વાઘની વધુ પડતી સંખ્યાને કારણે પડકારોનો સામનો કરી રહ્યું છે. 2022ની વસ્તી ગણતરીના ડેટા અનુસાર, ઉદ્યાનમાં વાઘની વસ્તી અંદાજિત 88 છે. લગભગ 1,400 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરવતો નેશનલ પાર્ક વાધનું મુખ્ય નિવાસસ્થાન નથી. જેને કારણે વાઘ માનવ વસ્તીમાં જોવા મળી રહ્યા છે.
ભૂતકાળમાં ગ્રામજનોએ વાઘને ઝેરી દવા પીવડાવી હોવાની ઘટનાઓ પણ બની છે. તાજેતરમાં, એક વાઘ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કુહાડીથી મારી નાખવામાં આવ્યો હતો, કથિત રીતે ગામલોકો વાઘના હુમલામાં એક બકરાના મૃત્યુથી ગુસ્સે થયા હતા.