શું ચૂંટણી કમિશનરને હટાવવા મહાભિયોગ શરૂ થશે? વિપક્ષની બેઠકમાં મોટો નિર્ણય

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ‘વોટ ચોરી’ અને અન્ય ગેરરીતિઓના ગંભીર આક્ષેપો લગાવ્યા છે, જેને કારણે રાજકરણ ગરમાયું છે. ચૂંટણી પંચે એક પ્રેસ કોન્ફરન્સ કરી તમામ આરોપો ફગાવી દીધા છે. પરંતુ વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલ મુજબ વિપક્ષ જ્ઞાનેશ કુમારને CECના પદ પરથી હટાવવા સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવી (Impeachment motion against Gyanesh Kumar) શકે છે.
અહેવાલ મુજબ આજે સવારે સંસદમાં વિપક્ષી પાર્ટીના નેતાઓની એક બેઠક યોજાઈ હતી. સુત્રોના જણાવ્યા મુજબ આ બેઠક દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર હટાવવા માટે સંસદમાં મહાભિયોગ શરુ કરવા ચર્ચા કરવામાં આવી હતી. જો કે આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
એક પ્રેસ કોન્ફરન્સ કરી CEC જ્ઞાનેશ કુમારે ‘વોટ ચોરી’નો આરોપ લગાવવા બદલ વિપક્ષી પાર્ટીઓની ટીકા કરી હતી. રાહુલ ગાંધીના “વોટ ચોરી” ના નિવેદનને તેમણે બંધારણનું અપમાન કરવા સમાન ગમાવ્યું છે. જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે રાજકીય હેતુઓ માટે ભારતના મતદારોને નિશાન બનાવવા માટે ચૂંટણી પંચનો ઉપયોગ લોન્ચપેડ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે વિપક્ષે વધુ આક્રમક વલણ દાખવી શકે છે.
મહાભિયોગ પ્રસ્તાવ પસાર થશે?
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવા જેવી જ હોય છે. આવી મહાભિયોગ પ્રસ્તાવ માટે સંસદના બંને ગૃહોમાં બે-તૃતીયાંશ બહુમતીથી પસાર થવું જોઈએ.
બંને ગૃહોમાં ભાજપની આગેવાની હેઠળના NDAની બહુમતી હોવાથી આ પ્રસ્તાવ પસાર થાય તેવી શક્યતા નથી, પણ આ પ્રસ્તાવ લાવીને વિપક્ષ ચૂંટણીમાં કથિત ગેરરીતિઓ માટે સંસદમાં ચર્ચા કરવા ઈચ્છે છે.
આપણ વાંચો: લોકસભામાં હોબાળા મુદ્દે અધ્યક્ષનો વિપક્ષી સાંસદોને ઠપકો: કહ્યું જનતાએ તમને તોડફોડ કરવા નથી મોકલ્યા”