ઓપરેશન જિંદગીઃ ટનલ બહાર બની આવી આકૃતિ કે જાગ્યું આશાનું કિરણ

નવી દિલ્લી: ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્કયારામાં ટનલ ધસી પડતાં છેલ્લા 15 દિવસથી મજૂરો અંદર ફસાઈ ગયા છે. હવે તેમને બચાવવાના દરેક પ્રસાયો નિષ્ફળ જઈ રહ્યા છે. વિદેશથી લાવવામાં આવેલી ઓગર મશીન પણ બંધ પડી ગઈ છે. મજૂરોના રેસક્યું મિશનમાં આ બધી તકલીફો આવતા ઇન્ટરનેટ પર ટનલના બહારની એવી તસવીર વાઇરલ થઈ રહી છે જેને અહીંના સ્થાનિક લોકોએ ચમત્કાર ગણાવીને લોકોને બચાવવા માટે નવી આશા જાગી છે.
સિલ્કયારા ખાતે આવેલી આ ટનલની બહાર બાબા બૌખ નાગ મંદિર છે, જ્યાં પાણી લીક થવાને લીધે એવી આકૃતિ બની છે કે જેને જોઈને અહીંના સ્થાનિક લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તે ભગવાન શિવજીની આકૃતિ છે અને ભગવાન સ્વયં આશીર્વાદ આપવા આવ્યા છે, જેથી ફસાયેલા મજૂરો સુરક્ષિત બહાર આવશે.
પાણી વડે બનેલી શંકર ભગવાનની આ આકૃતિની વીડિયો અને તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. દરમિયાન એક સ્થાનિક નાગરિકે જણાવ્યું હતું કે જ્યારે આ ટનલનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે બાબા બૌખ નાગના મંદિર સ્થાનથી ખસેડીને ટનલની અંદર રાખવામા આવ્યું હતું. ટનલ ધસી પડતાં આ મંદિરને ફરીથી તેના મૂળ સ્થાન પર સ્થાપિત કરવામાં આવ્યું હતું.
ફસાયેલા 41 મજૂરોને બચાવવા ટનલની ઉપરના ભાગમાં વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ડ્રિલિંગ નિષ્ણાંતે જણાવ્યુ હતું કે જો રેસક્યું ટીમના દરેક પ્રયાસો સફળ રહેશે તો મજૂરો આવતી નાતાલ સુધી તેમના ઘરે સુરક્ષિત પહોંચશે.