બિહાર BJP-JDU મુદ્દે કુશવાહાએ કહ્યું કે ‘શું ગેરંટી કે લોકસભા પછી નીતિશ NDA નહીં છોડે?’ તો સુશિલ મોદીએ કહ્યું ‘દરવાજા ક્યારેય બંધ નથી થતાં’

નવી દિલ્હીઃ બિહારમાં નીતિશ કુમાર નવી સરકાર બનાવવાની અટકળો તેજ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમાર આગામી રવિવારે મહાગઠબંધન સાથે સંબંધ તોડી શકે છે અને NDAમાં સામેલ થઈ શકે છે. જો કે, સૂત્રો તરફથી આવી રહેલા આ સમાચાર પર JDU તરફથી હાલમાં કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ તમામ અટકળો વચ્ચે બિહારની રાજનીતિ સાથે જોડાયેલા વિવિધ પક્ષોના નેતાઓ તરફથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.
નીતિશ કુમાર દ્વારા નવી સરકાર બનાવવાની અટકળો વચ્ચે BJP સાંસદ સુશીલ મોદીએ કહ્યું છે કે રાજકારણમાં દરવાજા કાયમ માટે બંધ નથી હોતા. જો દરવાજો બંધ હોય તો તે પણ ખોલી શકાય છે. રાજકારણ એ સંભાવનાઓનો ખેલ છે, કંઈ પણ થઈ શકે છે.
RJD નેતા શક્તિ યાદવે કહ્યું કે બિહાર મહાગઠબંધન સરકાર રાજ્યના લોકોના હિતને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે. જેમના દિલમાં ડર હોય છે તેઓ જ વારંવાર કહેતા હોય છે કે ‘બધું ઠીક છે’. ભાજપ બિહારથી ડરી ગઈ છે.
બિહારની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર RJDના વડા ઉપેન્દ્ર કુશવાહા કહે છે, “એવી વાતો ચાલી રહી છે કે તેઓ NDA ગઠબંધનમાં જોડાઈ શકે છે. એ વાત સાચી છે કે સીએમ નીતિશ કુમાર (INDIA ગઠબંધન) છોડવાનું વિચારી રહ્યા છે. જો તેઓ NDAમાં જોડાશે તો, તે એક મોટી વાત હશે.” સવાલ એ છે કે ચૂંટણી પછી તેઓ એનડીએ સાથે રહેશે કે નહીં… તેની શું ગેરંટી છે કે લોકસભા ચૂંટણી પછી તેઓ NDA ગઠબંધન નહીં છોડે…”
આરજેડી નેતા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે નીતીશ-તેજશ્વી સરકારમાં બધું બરાબર છે. કેટલાક તત્ત્વો શરૂઆતથી જ સરકારને પછાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. બિહાર સરકારને કોઈ તોડી શકે નહીં.
તેવામાં, કોંગ્રેસના નેતા પ્રેમચંદ્ર મિશ્રાએ કહ્યું કે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે નીતીશ કુમાર INDIA ગઠબંધનની સાથે રહેશે. નીતીશ કુમારે ભાજપને સત્તા પરથી હટાવવાનો સંકલ્પ કર્યો છે અને અમને તેમના સંકલ્પમાં વિશ્વાસ છે.