નેશનલ

ઓમર અબ્દુલ્લાએ કરી આઇએમએફના પાકિસ્તાનને ભંડોળ આપવાના નિર્ણયની આકરી ટીકા, કહી આ વાત

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં પહલગામ હુમલાની ભારતની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાન સતત ભારતના શહેરો પર ડ્રોન અને મિસાઇલ હુમલા કરી રહ્યું છે. જેને ભારતીય સેના નિષ્ફળ બનાવી રહી છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ પાકિસ્તાનને લગભગ એક અબજ ડોલરની રકમ મંજૂર કરી છે. જે અંગે ભારતે ચિંતા વ્યક્ત કર્યા બાદ જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાએ પણ આઇએમએફની આકરી ટીકા કરી છે. તેમણે આઈએમએફ પર આરોપ લગાવ્યો કે તે પાકિસ્તાનને ભારતના શહેરો પર હુમલા કરવા ફંડ આપશે અને તે કેવી રીતે વિચારી શકે છે ઉપખંડ શાંતિ સ્થાપિત થાય.

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે એક પોસ્ટ કરી છે. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું, ” હું નથી જાણતો કે આંતરરાષ્ટ્રીય સમુદાય એવું કેવી રીતે વિચારે છે કે જ્યારે IMF પાકિસ્તાનને પૂંછ, રાજૌરી, ઉરી, તંગધાર અને અન્ય ઘણા સ્થળોને બરબાદ કરવા ઉપયોગમાં લેવાતા તમામ શસ્ત્રો માટે વળતર આપશે ત્યારે ઉપખંડમાં વર્તમાન તણાવ ઓછો થશે.”

આઇએમએફે એક અબજ ડોલરની રકમ આપવાની મંજૂરી આપી

આઈએમએફ એ શુક્રવારે હાલની વિસ્તૃત ભંડોળ સુવિધા હેઠળ પાકિસ્તાનને લગભગ એક અબજ ડોલરની રકમ આપવાની મંજૂરી આપી. પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલયે આ માહિતી આપી. આ નિવેદનના જણાવવામાં આવ્યું કે વડાપ્રધાન શાહબાઝ શરીફે આઈએમએફ દ્વારા પાકિસ્તાન માટે એક અબજ ડોલરના હપ્તાને મંજૂરી આપવા અને તેની સામે ભારતની મનમાની વ્યૂહરચનાની નિષ્ફળતા પર સંતોષ વ્યક્ત કર્યો.

ભારતે આઇએમએફના પગલા પર ચિંતા વ્યક્ત કરી

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભારતે આઈએમએફના આ પગલા પર ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાનના નબળા રેકોર્ડનો ઉલ્લેખ કરીને ભારતે આશંકા વ્યક્ત કરી હતી કે આઈએમએફ લોનનો દુરુપયોગ સરહદ પાર આતંકવાદને ભંડોળ પૂરું પાડવા માટે થઈ શકે છે. ભારતે પાકિસ્તાનને 2.3 બિલિયન યુએસ ડોલરની નવી લોન આપવાના આઈએમએફના પ્રસ્તાવનો પણ વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો…ભારતના વિરાધ છતાં IMF એ પાકિસ્તાનની લોન મંજૂર કરી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button