પૂર્વોત્તરમાં પૂર રાહત: ભારતીય સેનાની માનવતાવાદી કામગીરી, ૩૮૦૦થી વધુને બચાવ્યા…

ગુવાહાટીઃ ભારતીય સેનાએ પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂર બાદ વિશાળ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (એચએડીઆર) અભિયાન શરૂ કર્યું છે. આ માહિતી આજે સત્તાવાર જણાવ્યું હતું. સેનાએ અત્યાર સુધીમાં સમગ્ર પ્રદેશમાં ૪૦ રાહત ટુકડીઓ તૈનાત કરી છે અને કુલ ૩,૮૨૦ લોકોને બચાવ્યા છે. લશ્કરી દળોએ નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં સંકલિત તૈનાતી સાથે ઓપરેશન જલ રાહત-૨ હેઠળ કવાયત હાથ ધરી છે.
નિવેદનમાં જણાવાયું છે કે આ પ્રયાસોનું નેતૃત્વ આસામ રાઇફલ્સ(ઉત્તર)ના મુખ્યાલય મહાનિરીક્ષક દ્વારા સ્થાનિક નાગરિક વહીવટીતંત્રના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. સેનાએ ૧,૩૬૧ ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે. ૧૫,૪૨૧ પાણીની બોટલ અને ૨,૦૯૫ લોકોને તબીબી સહાય પૂરી પાડી છે.
આસામમાં ગોલાઘાટમાં ધનસિરી નદીએ ભયજનક સ્તરને પાર કર્યાની સાથે જ ભારતીય સેનાએ ઉપરવાસના જિલ્લાઓમાં એચએડીઆર અભિયાન શરૂ કરી દીધું છે. તેમાં વધુમાં જણાવાયું છે કે જો કે પાણીનું સ્તર હવે ઘટી રહ્યું છે. ભારતીય સેના સ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂર પડવાની સ્થિતિમાં હસ્તક્ષેપ કરવા માટે તૈયાર છે.
નાગાલેન્ડ વિશે વાત કરતાં તેમાં જણાવાયું છે કે દિમાપુરના ડેપ્યુટી કમિશ્નરે આજે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંના એક સિંગરિજન કોલોનીમાં તાત્કાલિક પૂર રાહત પ્રદાન કરવા માટે ભારતીય સેના પાસેથી મદદ માંગી હતી. મણિપુરમાં ઇમ્ફાલ પશ્ચિમ અને વિષ્ણુપુર જિલ્લાઓમાંથી વહેતી નામ્બોલ નદી પણ ભયજનક સપાટીને વટાવી ગઇ છે. જો કે પૂરના પાણી ઓસરવા લાગ્યા છે, પરંતુ સેના નાગરિક અધિકારીઓની સાથે સંકલનમાં રાહત કામગીરીમાં સક્રિયપણે રોકાયેલી છે.