પહેલગામમાં આતંકી હુમલા કેસમાં એનઆઈએ કર્યો આ મોટો ખુલાસો

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે. એનઆઇએ કેસ નોંધ્યો છે અને ઘટનાના દિવસથી જ હુમલાની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીએ આતંકવાદી હુમલાના પુરાવા એકત્ર કરવા માટે કેટલાક પ્રત્યક્ષદર્શીઓની પણ પૂછપરછ કરી છે. જેમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ હત્યાકાંડનું સંપૂર્ણ વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. આ માટે તેણે પોતાના શરીર પર બોડી કેમેરા લગાવ્યા હતા.
પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોની બારીકાઈથી તપાસ
એનઆઈએ સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ એજન્સીએ આ આતંકવાદી હુમલા અંગે જમ્મુમાં કેસ નોંધ્યો છે અને હુમલાના દિવસથી એટલે કે મંગળવારથી અનૌપચારિક રીતે તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાના દિવસે જ સ્થાનિક પોલીસ સાથે આઈજીના નેતૃત્વમાં તપાસ એજન્સીના અધિકારીઓની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારથી ટીમો ઘટનાસ્થળે હાજર છે. તપાસ ટીમો પહેલગામમાં બૈસરન જવાના તમામ પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોની બારીકાઈથી તપાસ કરી રહી છે.
એનઆઈએ અધિકારીએ જણાવ્યું હતું કે આ ક્રૂર આતંકવાદી હુમલાની શરૂઆતની તપાસમાં સંકેત મળ્યો છે કે આતંકવાદીઓની સંખ્યા પાંચથી સાતની વચ્ચે હોઈ શકે છે અને આતંકવાદીઓને ઓછામાં ઓછા બે સ્થાનિક લોકોએ પણ મદદ કરી હતી. જેમણે પાકિસ્તાનમાં તાલીમ લીધી હતી. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓએ ત્રણ આતંકવાદીઓના સ્કેચ પણ જાહેર કર્યા છે. આ ત્રણેય પાકિસ્તાનના છે અને તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા છે.
26 લોકોને ગોળી મારી દેવામાં આવી
માહિતી અનુસાર, આતંકવાદીઓએ ફક્ત પુરુષોને જ માર્યા પહેલા તેમને તેમના ધર્મ વિશે પૂછ્યું અને પછી તેમને જમીન પર બેસાડીને માથું નમાવવા કહ્યું. ત્યારબાદ 26 લોકોને ગોળી મારી દેવામાં આવી. કાશ્મીરમાં આ અત્યાર સુધીની સૌથી મોટી આતંકવાદી ઘટના છે. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે.
આપણ વાંચો…પહલગામ હુમલા મુદ્દે ભારતના એક્શનથી પાકિસ્તાનની ઊંઘ હરામઃ રશિયા-ચીનને કરી આવી આજીજી