
નવી દિલ્હી: વિવિધતાથી ભરેલા ભારત દેશમાં દરેક ધર્મના તહેવાર અને નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને નવા વર્ષની શરૂઆત ભગવાનના દર્શન સાથે થાય એવું લોકો ઇચ્છતા હોય છે. વર્ષ 2026 શરૂ થઈ ગયું છે. ત્યારે વર્ષના પહેલા દિવસની શરૂઆત ભગવાનના દર્શન સાથે કરવા માટે શ્રદ્ધાળુઓ દેશના જાણીતા ધાર્મિક સ્થળો પર પહોંચી ગયા છે. દેશના અગ્રણી મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા છે.
અયોધ્યા-કાશીમાં ભક્તોની લાંબી લાઇન
ભગવાનના દર્શન સાથે નવા વર્ષની શરૂઆત કરવા માટે ભક્તો રાત્રે 12 વાગ્યે જ મંદિરની બહાર પહોંચી ગયા હતા. અયોધ્યા, વારાણસી, મથુરા-વૃંદાવન, શેરડી, અમૃતસરમાં ભક્તોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. અયોધ્યામાં રામ લલ્લા અને કાશીમાં બાબા વિશ્વનાથના દર્શન માટે શ્રદ્ધાળુઓની 2-2 કિમી લાંબી લાઇન જોવા મળી છે. આવા સંજોગોમાં કોઈ અણબનાવ ન બને તે માટે 3 કિમી સુધી બેરિકેડિંગ કરવામાં આવી છે. ભક્તોની ભીડને જોતા મંદિર પ્રશાસન દ્વારા પણ ભગવાનના દર્શનનો સમય વધારો દેવામાં આવ્યો છે.
મંદિરોમાં Gen Z યુવાનોનો જમાવડો
કડકડતી ઠંડીમાં પણ ભક્તો મોડી રાત્રે મંદિરો પર પહોંચી ગયા હતા. નવા વર્ષ Gen Z યુવાવર્ગમાં ભક્તિનો રંગ જોવા મળ્યો છે. અયોધ્યા, વારાણસી, કાશી-મથુરા ખાતે Gen Z યુવાનો મોટી સંખ્યામાં જોવા મળ્યા છે. આ સાથે ભક્તોની ભીડ ઓછી થવાનું નામ લઈ રહી નથી. મથુરામાં બાંકે બિહારી, ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરવા માટે ભક્તો પડાપડી કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓને દર્શન માટે 10 સેકન્ડથી પણ ઓછો સમય મળી રહ્યો છે. નવા વર્ષે હરિદ્વારા ખાતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા ગંગાની ઉપાસના તથા ગંગા સ્નાન કરવા માટે પહોંચ્યા છે.



