માતૃભાષાના સન્માનનો નવો યુગ: અમિત શાહે ‘ભારતીય ભાષા અનુભાગ’નો શુભારંભ કર્યો!

નવી દિલ્હી: દક્ષિણના રાજ્યોમાં ભાષાને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે નવી દિલ્હીમાં ભારતીય ભાષા અનુભાગ (Indian Languages Section)નો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ અને રાજભાષા સચિવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતીય ભાષા અનુભાગની સ્થાપના સાથે રાજભાષા વિભાગ હવે એક સંપૂર્ણ વિભાગ બની ગયો છે તેમજ વહીવટને વિદેશી ભાષાઓના પ્રભાવથી મુક્ત કરવાની દિશા માટે આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
વહીવટને વિદેશી ભાષાઓના પ્રભાવથી મુક્ત કરવાની દિશા
અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતીય ભાષા અનુભાગની સ્થાપના સાથે રાજભાષા વિભાગ હવે એક સંપૂર્ણ વિભાગ બની ગયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પગલું વહીવટને વિદેશી ભાષાઓના પ્રભાવથી મુક્ત કરવાની દિશામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. જ્યારે આપણી વિચારવાની, વિશ્લેષણ કરવાની અને નિર્ણય લેવાની પ્રક્રિયા આપણી માતૃભાષા માં હોય છે, ત્યારે જ આપણી સંભવિતતાનો સંપૂર્ણ ઉપયોગ થઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશની તમામ સ્થાનિક ભાષાઓને મજબૂત કરીને જ આપણે ભારતને તેના ચિરંતન ગૌરવશાળી સ્થાન પર પહોંચાડી શકીએ છીએ.
દરેક ભાષા બીજી ભાષા સાથે જોડાયેલી
ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે, આપણી દરેક ભાષા બીજી ભાષા સાથે સંપૂર્ણપણે જોડાયેલી છે અને એકબીજા વગર તમામ ભાષાઓનો વિકાસ શક્ય નથી. આપણી તમામ ભાષા રૂપી નદીઓ મળીને ભારતીય સંસ્કૃતિની ગંગા બનાવે છે. ભારતીય ભાષાઓ આપણી સંસ્કૃતિનો આત્મા છે અને આપણી સંસ્કૃતિ ભારતનો આત્મા છે. આ અનુભાગ ભારતની ભાષાકીય વિવિધતાને સમાવીને, તમામ ભાષાઓને એક શક્તિશાળી અને સંગઠિત પ્લેટફોર્મ પૂરું પાડશે.
અંગ્રેજી લાદવાની લડાઈને ચોક્કસપણે જીતીશું.
કેન્દ્રીય ગૃહ પ્રધાને ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકતા કહ્યું કે, તમામ ભાષાઓની ભાવના, સમૃદ્ધિ અને સંવેદનાને ઘટાડ્યા વિના ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી કે, ભાષાના માધ્યમથી આપણા પર અંગ્રેજી લાદવાની લડાઈને આપણે ચોક્કસપણે જીતીશું.
આ પણ વાંચો - ભારતમાં હિંસા ફેલાવવા માંગતું હતું પાકિસ્તાન, ઓપરેશન સિંદૂરનું નામ લેતાં જ યાદ આવશે પરાજયઃ પીએમ મોદી
વર્ષ 2024-25ના બજેટમાં કરી હતી ફાળવણી
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2024-25ના બજેટમાં ‘ભારતીય ભાષા અનુભાગ’ની સ્થાપના માટે 56 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. જેનો ઉદેશ્ય જુદી જુદી ભાષાઓનો હિન્દીમાં અને હિન્દીથી હિન્દીમાં અનુવાદ કરવા માટે એક મંચ વિકસિત કરવાનો છે. આ મંચ માટે કોઈ અંગ્રેજી અનુવાદ ઉપલબ્ધ કરાવવામાં નથી આવ્યો. 2019 માં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ભારત વિવિધ ભાષાઓનો દેશ છે. તેમણે કહ્યું હતું કે, “આજે, જો કોઈ એક ભાષા દેશને એક સાથે જોડી શકે છે, તો તે સૌથી વધુ બોલાતી ભાષા છે, હિન્દી.”