
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને જામીન માટે વધુ રાહ જોવી પડશે. દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી સ્થગિત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ હવે આ કેસની આગામી સુનાવણી 5 સપ્ટેમ્બરે કરશે. જો કે, આ દરમિયાન કોર્ટે સીબીઆઈને એક સપ્તાહની અંદર કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા કહ્યું છે. અરવિંદ કેજરીવાલે કથિત આબકારી નીતિ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં CBI દ્વારા તેમની ધરપકડને યથાવત રાખવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલ એએસજી એસવી રાજુએ કહ્યું હતું કે જામીનના કેસમાં કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. બીજા કિસ્સામાં, એટલે કે ધરપકડને પડકારતા કેસમાં, જવાબ આપવા માટે સમયની જરૂર છે. જે બાદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સીબીઆઈ પાસે બે દિવસમાં જવાબ માંગ્યો હતો. કોર્ટે સીબીઆઇને એક સપ્તાહનો સમય આપ્યો છે અને આગામી સુનાવણી 5 સપ્ટેમ્બરે નક્કી કરી હતી.
14 ઓગસ્ટના રોજ, સર્વોચ્ચ અદાલતે આ કેસમાં AAP નેતાને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને તેમની ધરપકડને પડકારતી અરજી પર તપાસ એજન્સી પાસેથી જવાબ માંગ્યો હતો.