નેશનલસ્પેશિયલ ફિચર્સ

એક કર્મચારીની નોકરી માટે જ્યારે રતન ટાટાએ જહેમત ઉઠાવી…..

સમગ્ર વિશ્વમાં કોરોના રોગચાળાને કારણે થયેલી જાનહાનિને કોઈ ભૂલી શકે તેમ નથી. દુનિયાબરનો કોઇ પણ દેશ આ રોગચાળાથી બાકાત રહ્યો નહોતો. આ તે સમયગાળો હતો જ્યારે વિશ્વભરમાં જાણે કે કરફ્યુ લાગી ગયો હતો. લોકો ઘરની બહાર પગ મૂકવાથી પણ ડરતા હતા. નોકરી ધંધા છોડીને લોકો ઘરમાં બેસી ગયા હતા. હજારો કંપનીઓએ તેમના કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. ટાટા ગ્રૂપમાં 20 વર્ષથી કામ કરતા કર્મચારી વિકાસ ત્યાગી પણ તેમાંના એક હતા, પરંતુ તેમની નાની પુત્રી દ્વારા રતન ટાટાને કરાયેલા કોલથી વિકાસ ત્યાગીને કંપનીમાં તેમની નોકરી પાછી મેળવવામાં મદદ મળી હતી. આપણે પરોપકારી ભાવના ધરાવતા રતન ટાટાની આ વાર્તા જાણીએ.

ત્યાગીએ જણાવ્યું હતું કે તેમની પુત્રીને રતન ટાટામાં વિશ્વાસ હતો કે તેઓ તેમના પિતાને તેમની નોકરી પાછી મેળવવામાં મદદ કરશે. તેમની દીકરીએ એમ પણ કહ્યું હતું કે તેને ગૂગલ પરથી રતન ટાટાનો નંબર મળ્યો હતો.

જ્યારે ત્યાગીને ઉદ્યોગપતિ દિગ્ગજ રતન ટાટાના નિધનના સમાચાર મળ્યા, ત્યારે તેઓ શ્રદ્ધાંજલિ આપવા દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટ ખાતે એનસીપીએમાં પહોંચ્યા હતા. તેમણે રતન ટાટાને બુદ્ધિશાળી અને સરળ, સુલભ, પરોપકારી વ્યક્તિ ગણાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, “હું 20 વર્ષ સુધી ટાટાનો કર્મચારી હતો. કોવિડ દરમિયાન મારી નોકરી જતી રહી હતી. નોકરી વિના ગૃહસ્થી ચલાવવી કેવી રીતે એની ચિંતા મને કોરી ખાતી હતી. મારી સૌથી નાની પુત્રીએ મારી પરિસ્થિતિ જોઈ અને મને કહ્યું કે તેને રતન ટાટા પર વિશ્વાસ છે. જોકે, એની વાત માનવામાં નહોતી આવતી કારણ કે ક્યાં રતન ટાટા જેવા દિગ્ગજ ઉદ્યોગપતિ અને ક્યાં મારા જેવો સાવ સામાન્ય કર્મચારી. તેમની પાસે મારા જેવા લોકોની વાત સાંભળવાનો વખત પણ ક્યાંથી હોઇ શકે.

પરંતુ જ્યારે મારી દીકરીએ રતન ટાટાને ફોન કર્યો ત્યારે તેને પ્રથમ વખત તો કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. જોકે, જ્યારે તેણે બીજી વાર ફોન કર્યો ત્યારે કોઇએ ફોન ઉઠાવ્યો અને કહ્યું કે તેઓ (રતન ટાટા) પાછો ફોન કરશે.

ત્યાગીએ જણાવ્યું કે, “મારી દીકરીએ મને કહ્યું કે મને રતન ટાટાનો ફોન આવશે અને ખરેખર રવિવારે સવારે મને રતન ટાટાનો ફોન આવ્યો અને તેમણે મને કહ્યું કે, વિકાસ, તમે મને કહી શકો છો કે શું સમસ્યા છે. અને તમે નહીં માનો પણ મને ત્રણ દિવસ પછી મારી નોકરી પાછી મળી ગઇ. રતન ટાટાનો સંપર્ક કરવો એકદમ સરળ હતો. મને રતન ટાટા સરે મારી નોકરી પાછી અપાવી.”
 
‘Monk in business suit’ રતન ટાટાએ લોકોએ તેમને પ્રેમથી આપેલા આ બિરૂદને જીવી જાણ્યું હતું. તેમનું બુધવારે મોડી રાત્રે નિધન થયું હતું. લાંબી બિમારીના કારણે છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. 86 વર્ષીય ટાટાના પાર્થિવ દેહને ગુરુવારે સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટ ખાતે નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ (NCPA) ખાતે જાહેરમાં દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજ્યકક્ષાના સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Back to top button
આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker