પંજાબના ભૂતપૂર્વ પોલીસ વડાના મૃત પુત્રનો બીજો વીડિયો, પોતે સીઝોફ્રેનિયાક હોવાનો દાવો

પંચકુલાઃ પંજાબના ભૂતપૂર્વ પોલીસ વડા મોહમ્મદ મુસ્તફા અને તેમનાં પત્ની પંજાબના પૂર્વ મંત્રી રઝિયા સુલતાના ખુદના દીકરાની હત્યાના કેસમાં ફસાયાં છે ત્યારે તેમના મૃત દીકરા અકીલનો બીજો વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયોમાં અકીલ પોતે સીઝોફેનિયાક હોવાનું કહે છે અને સંભાળ રાખનારો પરિવાર મળ્યો એ બદલ આભાર માને છે પણ પછી તરત જ પોતાના પરિવારે હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનો આક્ષેપ પણ કરે છે. રઝિયા સુલતાના પંજાબનાં ભૂતપૂર્વ મંત્રી છે.
મોહમ્મદ મુસ્તફાના પરિવાર સામે ગુનો નોંધાયો
અકીલે પોતાના પહેલા વીડિયોમાં પોતાના પિતા મોહમ્મદ મુસ્તફાના પોતાની પત્નિ સાથે શારીરિક સંબંધો હોવાનો આક્ષેપ કરીને ખળભળાટ મચાવ્યો હતો. અકીલ વીડિયોમાં કહે છે કે, લગ્ન મારી સાથે કરાવાયાં પણ પત્નિ મારા પિતાની છે.
પંજાબના ભૂતપૂર્વ પોલીસ વડા મોહમ્મદ મુસ્તફા, તેમની પત્ની અને પંજાબના પૂર્વ મંત્રી રઝિયા સુલતાના, મુસ્તફાની પુત્રી અને પુત્રવધૂનાં પણ હરિયાણાના પંચકુલામાં અકીલની હત્યાના આરોપી તરીકે નામ અપાયાં છે. પોલીસે 20 ઓક્ટોબરેમનસા દેવી કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશનમાં મૃતક અકીલના પિતા મુસ્તફા, તેની માતા રઝિયા સુલતાના, તેની બહેન અને તેની પત્ની વિરુદ્ધ આઈપીસીની કલમ 103(1) અને 61 હેઠળ કેસ નોંધ્યો છે.
અકીલની હત્યાની તપાસ માટે SITની રચના
મુસ્તફાના પુત્ર અકીલ (35)નું 16 ઓક્ટોબરે પંચકુલામાં અવસાન થયું હતું. અકીલા પરિવારે દાવો કર્યો હતો કે ડ્રગના ઓવરડોઝથી તેનું મૃત્યુ થયું હતું. અકીલના મોત પછી 27 ઓગસ્ટે રેકોર્ડ કરો તેનો એક જૂનો વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયોમાં અકીલે કહે છે કે, તેને તેના પિતાના તેની પત્ની સાથેના શરીર સંબંધોની જાણ થઈ ગઈ હતી. કાયદેસર રીતે એ મારી પત્ની હતી પરંતુ એવું લાગતું હતું કે તેણે તેના પિતા સાથે લગ્ન કર્યા છે. અકીલનો દાવો છે કે, તેની માતા પણ આ કામમાં સામેલ હતી ને પોતાને આ વાતની જાણ થઈ ત્યારથી તેનો પરિવાર તેની હત્યાનું કાવતરું ઘડી રહ્યો છે.
આ વીડિયાના આધારે અકીલના વકીલ શમશુદ્દીને પંચકુલા પોલીસ કમિશનરને અરજી કરીને આ મામલાની તપાસની માંગ કરી હતી. પંચકુલાના ડીસીપી સૃષ્ટિ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ કેસની તપાસ માટે એસીપી રેન્કના અધિકારીના નેતૃત્વમાં એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. અકીલને એક પુત્ર અને એક પુત્રી છે. તે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં વકીલાત કરતો હતો.
પિતાના પત્ની સાથે અનૈતિક સંબંધની આશંકા
શમસુદ્દીને 17 ઓક્ટોબરે પંચકુલા પોલીસ કમિશનરને ફરિયાદ મોકલી હતી, જેમાં ભૂતપૂર્વ ડીજીપી મુસ્તફા અને તેમની પત્ની રઝિયા સુલ્તાનાના પુત્ર અકીલના શંકાસ્પદ મૃત્યુની તપાસની માંગણી કરવામાં આવી હતી. શમસુદ્દીને જણાવ્યું હતું કે, પંચકુલાના મનસા દેવી મંદિર પાસે સેક્ટર 4માં રહેતા અકીલ અને તેના પરિવાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. શમસુદ્દીને આક્ષેપ કર્યો હતો કે, 27 ઓગસ્ટના રોજ અકીલે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. અકીલે કહ્યું કે તેને તેના પિતા મુસ્તફા અને તેની પત્ની વચ્ચે અનૈતિક સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. એ પછી તેની માતા અને બહેન સહિત તેનો આખો પરિવાર તેની હત્યા કરવાનું અથવા તેને ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું ઘડી રહ્યો હતો. અકીલે કહ્યું હતું કે તેનો જીવ જોખમમાં છે. પછી તેનું અચાનક મૃત્યુ થયું એ જોતાં અકીલના વીડિયોમાં આપેલા નિવેદનો અને તેના મૃત્યુની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.
આ પણ વાંચો…પંજાબના પૂર્વ ડીજીપી પર દીકરાની હત્યાનો કેસઃ પુત્રવધૂ સાથે ‘અનૈતિક સંબંધ’ હોવાનો આરોપ