Top Newsનેશનલ

પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભૂકંપ, બાંગ્લાદેશ સુધી અનુભવ્યા આંચકા…

નવી દિલ્હી: પૂર્વ ભારતના કેટલાક હિસ્સાઓ સહિત પડોશી દેશોમાં મંગળવારે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ખાસ કરીને પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રાત્રે અંદાજે 09:05 વાગ્યે 10 થી 15 સેકન્ડ સુધી જમીન ધ્રૂજતી અનુભવાતા ભયનો માહોલ સર્જાયો હતો. ઊંચી ઇમારતો અને મકાનોમાં રહેતા લોકો ગભરાટના માર્યા રસ્તા પર દોડી આવ્યા હતા. આ આંચકા પૂર્વોત્તર ભારત અને બાંગ્લાદેશના સરહદી વિસ્તારોમાં પણ સ્પષ્ટપણે અનુભવાયા હતા, જેના કારણે વહીવટીતંત્ર સતર્ક બન્યું છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અને જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારમાં યેનાંગ્યાઉંગથી 95 કિમી પશ્ચિમમાં નોંધાયું હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.9 થી 6 ની વચ્ચે હોવાનું મનાય છે. આ ભૂકંપ જમીનથી માત્ર 10 કિમીની ઓછી ઊંડાઈએ હોવાથી તેના આંચકા વિશાળ વિસ્તારમાં અનુભવાયા હતા. નોંધપાત્ર છે કે મ્યાનમાર દુનિયાના સૌથી સક્રિય સિસ્મિક ઝોનમાં આવે છે અને છેલ્લા 71 કલાકમાં ત્યાં અનુભવાયેલો આ ત્રીજો ભૂકંપ છે.

આ કુદરતી આફતની અસર માત્ર ભારત કે મ્યાનમાર પૂરતી મર્યાદિત નહોતી. બાંગ્લાદેશમાં પણ 24 કલાકની અંદર બીજી વખત ધરતી ધ્રૂજી છે. આ પહેલા મંગળવારે સવારે પણ બાંગ્લાદેશમાં 4.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. મ્યાનમારની ભૌગોલિક સ્થિતિ એવી છે કે ત્યાં આવતા ભૂકંપની અસર વારંવાર થાઈલેન્ડ, ચીન અને ભારત સુધી વર્તાય છે. માર્ચ 2025 માં પણ મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેના સ્મરણો આજે ફરી તાજા થયા છે.

રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોલકાતા કે ભારતના અન્ય કોઈ ભાગમાંથી જાનમાલના નુકસાનના અહેવાલ મળ્યા નથી. નિષ્ણાતોના મતે, રિક્ટર સ્કેલ લોગરીધમિક હોવાથી ૫.૯ની તીવ્રતાનો ભૂકંપ ઘણો શક્તિશાળી ગણાય છે. 4ની તીવ્રતાનો ભૂકંપ 6 ટન TNT જેટલી ઉર્જા છોડે છે, જ્યારે 5ની તીવ્રતામાં આ ઉર્જા 200 ટન સુધી પહોંચે છે. અત્યારે સ્થિતિ નિયંત્રણમાં છે અને લોકો સાવચેતી સાથે ફરી પોતાના ઘરોમાં પરત ફરી રહ્યા છે, પરંતુ પ્રાદેશિક એજન્સીઓ નુકસાનનું ચોક્કસ આકલન કરવામાં લાગેલી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button