લંડનથી આવેલા પ્રવાસી પાસેથી પ્રાચીન કાળના સોના-ચાંદીના સિક્કા મળ્યા

મુંબઈ: કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે લંડનથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પહોંચેલા પ્રવાસી પાસેથી પ્રાચીન કાળના સોના-ચાંદીના દુર્લભ સિક્કા જપ્ત કર્યા હતા.
જપ્ત કરાયેલા સિક્કામાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના બેંગાલ પ્રેસિડેન્સી (મુર્શિદાબાદ ટંકશાળ, શાહ આલમ બીજાના નામની, એચ 1202/આરવાય 19)ની 1.237 ગ્રામની એક સોનામહોર, પ્રાચીન કુશાન સામ્રાજ્ય (હુવિશકા)નો આઠ ગ્રામનો સોનાનો દિનાર અને મુઘલ કાળ (કર્ક રાશિનું પ્રતીક ધરાવતા જહાંગીર, અમદાવાદ ટંકશાળ)નો 11.44 ગ્રામ વજનનો ચાંદીના રૂપિયાના એક સિક્કાનો સમાવેશ થાય છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
આ સોના-ચાંદીના સિક્કા પ્રવાસીની ટ્રૉલી બૅગમાં સંતાડીને મુંબઈ લાવવામાં આવ્યા હતા. મળેલી માહિતીને આધારે કસ્ટમ્સના અધિકારીઓએ ઍરપોર્ટ પર 10 ફેબ્રુઆરીએ એક ઑપરેશન હાથ ધરી લંડનથી આવેલા પ્રવાસીને શંકાને આધારે તાબામાં લીધો હતો. પ્રવાસી વર્જિન એટલાન્ટિક ઍરલાઈન્સની ફ્લાઈટમાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પ્રવાસીની આગળની લિંક અને નેટવર્ક અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. તેની વિરુદ્ધ કસ્ટમ્સ ઍક્ટ હેઠળ કાનૂની પગલાં લેવામાં આવ્યાં હતાં. જપ્ત કરાયેલા સિક્કાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, એવું અધિકારીએ ઉમેર્યું હતું.
(પીટીઆઈ)



